





– ભગવાન થાવરાણી

ભોપાલી કહેવડાવવા વાળા ઘણા શાયરો છે. અસદ ભોપાલી, તાજ ભોપાલી, મંઝર ભોપાલી. એટલે સુધી કે જે મોહતરમાને આપણે માત્ર કવ્વાલીની મહારાણી તરીકે ઓળખીએ છીએ એ શકીલાબાનો ભોપાલી પણ અચ્છી-ખાસી ગઝલો કહેતા હતા. આવા એક ભોપાલી હતા કૈફ ભોપાલી સાહેબ. એ પ્રખ્યાત તો થયા એમના પાકીઝા ફિલ્મના બે ગીતો ચલો દિલદાર ચલો અને આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે દ્વારા પરંતુ આ સિવાય પણ એમણે કેટલીક આલાતરીન ગઝલો કહી. ( ઉર્દૂ અને ગઝલની તહઝીબમાં ગઝલ લખાતી નથી, કહેવાય છે !)
એમની એક ગઝલનો મત્લો દર્દનાક છે. જુઓ :
કૌન આએગા યહાં કોઈ ન આયા હોગા
મેરા દરવાઝા હવાઓં ને હિલાયા હોગા
હવે તો આમેય આ દૌરમાં કોઈ કોઈના ઘરે આવતું – જતું નથી. હળવું – મળવું અને ક્ષેમકુશળ વોટ્સએપ અને ફેસબુકથી પતી જાય છે પણ આ એ જમાનાનો શેર છે જ્યારે લોકો ખરેખર એકબીજાના ઘરે જઈને બેસતા, હાલચાલ પૂછતા, ગપાટા મારતા ! એ જમાનામાં આવી વાત ! આવી નિરાશા ! શાયરને જાણે ગળા સૂધી ખાતરી છે કે મારા દરવાજે પવન સિવાય તો બીજું કોણ હોય ? આ ઘરે કોઈ ન આવે. ગાલિબે લખ્યું – સોરી, કહ્યું હતું :
કોઈ ઉમ્મીદ બર નહીં આતી
કોઈ સૂરત નઝર નહીં આતી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ. અદભુત. મજા પડી.