





સુરેશ જાની
એક દ્રષ્ટાંત આપીએ એટલે વેદ , પુરાણ, ઉપનિષદ, કે ફિલસૂફીના થોથેથોથાં ચપટિકમાં સમજાવી દેવાય. એટલે જ તો કથાકારોનો ધંધો ચાલતો હોય છે! કોઈ પણ અઘરી વાત સમજાવવી હોય તો જીવનમાંથી એનું ઉદાહરણ આપો તો તરત સમજાઈ જાય . કવિઓ પણ આ વાત બરાબર જાણતા હોય છે. એટલે જ ઘણી બધી ગઝલ અને કવિતામાં દ્રષ્ટાંત આપતા હોય છે. અહીં આવાં થોડાક શેર/ પદ ભેગાં કર્યાં છે .
૧)
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તેજ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
– નરસિંહ મહેતા
૨)
ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
– ‘શૂન્ય’ પાલનપુરી
૩)
કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.
પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે…
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
૪)
ઘણીએ ચીજ આલમમાં નથી તજતી અસિલયતને,
વસીને કોલસા વચ્ચે નથી પડતાં રતન કાળા.
– કિસ્મત કુરેશી
૫)
બધાની ચાદરોનાં રંગ નોખાં,
બધું રંગરેજને આધીન, મનવા!
હવે બસ, જાત બાજુ દોટ મૂકો!
ગણી લો એક, દો ને તીન, મનવા!
– હર્ષા દવે
૬)
નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.
કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે, કોને કહે છે તિરાડો?
– સંજુ વાળા
૭)
જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…
– અનિલ ચાવડા
૮)
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.
હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.
– મિલિન્દ ગઢવી
૯)
એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.
આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.
– રાકેશ હાંસલિયા
૧૦)
અથડાતી-પછડાતી પ્હોંચી પચાસમે ત્યારે ચક્ષુદેવ ત્રુઠ્યાં,
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા. *
ઘરડીખખ ફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા
આઘા-ઓરામાં કરે ભેળસેળ, ઉપ્પરથી ચોખ્ખું દેખાડિયાના ફાંકા
દૃશ્યોએ-સત્યોએ ટોળે વળીને એનાં નામનાં છાજિયાં કૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.
– પારુલ ખખ્ખર
* ( મોતિયો !)
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com