





– ન્હાનાલાલ દલપતરામ કવિ
પાત્રપરિચય
સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.
કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.
મુખ્ય પાત્રો :
દેવર્ષિ : દેવોના ઋષિરાજ.
ગિરિરાજ : ગિરિદેશના રાજવી.
જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.
કાશિરાજ : વારાણસીના રાજવી.
વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.
તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.
પારધી : પશુત નો શિકારી.
રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.
જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.
તેજબા : તીર્થગોર ની બહેન.
શેવતી : તીર્થગોર ની બ્રહ્મકન્યા.
નૃત્યદાસી : એક દાસી.
-૦-
અંક ૨
પ્રવેશ સાતમો
સ્થલકાલ: ગંગાકાંઠે અક્ષયતૃતિયાનું પ્રભાત
(ગંગાજીનાં જલમાં ને આરે યાત્રાળુઓનો સંઘ ઉભરાય છે. તેજબા ને જયા આવે છે.)
તેજબા : ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે.
રજનીના ચુંદડીના
છેડાના હીરલા શા
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.
પરમ પ્રકાશ ખીલે,
અરૂણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે.
જયા : જેવું જલનું સ્નાન
એવું જ આત્માનું સ્નાન.
તેજબા: હા, જયા ! આત્માના સ્નાન વિના
જલનાં સ્નાન અધૂરાં સ્તો.
(સ્નાનાર્થે જાય છે. કાંઠે ઉંચી ભેખડ ઉપર પાપમન્દિરના દ્વારમાં તીર્થગોર બેઠા બેઠા લલકારે છે.)
તીર્થગોર : अन्य क्षेत्रे कृतं पापं
तीर्थक्षेत्रे विनष्यति.
(નીચેના પટમાં ગિરિરાજ ને રાજરાણી યાત્રાળુવેશે ગંગાસ્નાને આવે છે.)
ગિરિરાજ : રાણી ! વનવનમાં વિચર્યાં;
પણ જયા યે ન જડી,
ને આત્મશાન્તિ યે ન લાધી.
રાજરાણી : રાજેન્દ્ર ! મ્હારે તો જયા એ જ શાન્તિમૂર્તિ.
સૃષ્ટિજૂનાં આ પુણ્યોદક વહે છે;
એમાંથી જડશે જયા; શોધિયે.
ગિરિરાજ: આ હવામાં હું જયા જોઉં છું;
દેખાય-દેખાય ને અલોપ થાય છે.
રાજરાણી : સજોડે તીર્થ ન્હાય
ત્હેને દર્શન થાય દિલવાસીનાં.
ગિરિરાજ: નહીં તો શુકદેવ સમા બ્રહ્મર્ષિ
તો દાખવશે જ દેવલોકવાસીને યે.
(સ્નાનાર્થે સંચરે છે. નૃત્યદાસી જળસ્નાન કરીને ભેખડ ઉપર પાપમન્દિરે દર્શને જાય છે.)
નૃત્યદાસી : આચાર્યનો તો અસ્ત થયો.
સૌન્દર્ય ઉડતાં આશકો ઉડી જાય,
એમ વિખરાયું વામીમંડળ
દેશદેશનાં વિલાસભવનોમાં.
પાપપુણ્યના કણ એવા છે કે
વેરાય ત્ય્હાં ત્ય્હાં ઉગે.
તીર્થગોર : अन्य क्षेत्रे कृतं पापं
तीर्थक्षेत्रे विनष्यति.
પધારો, યજમાનરાણીજી !
શું આપનું કાન્તિમંડળ !
જાણે પશ્ચિમનો ચન્દ્રમા !
નૃત્યદાસી :ગુરુ ! આ કોનું મન્દિર ?
આપ પૂજારી હશો.
તીર્થગોર : આ પાપમન્દિર છે ગંગાતટનું,
ને હું પાપમંદિરનો પૂજારી છું.
પાપના ઝગમગિયા અંચળા
લોક ઓઢી કે ઉતારી જાય,
એટલે આ અહીંનું પાપમન્દિર.
જૂવો, દર્શન કરો,
ઉતારો કે ઓઢો એ અંચળ.
(દાસીને તીર્થગોર પાપમન્દિરમાં જાય છે, થોડીક વારે વસ્ત્રોને વેણી સમાં કરતી દાસી તથા તીર્થગોર બહાર આવે છે.)
નૃત્યદાસી: (સ્મિત કરતાં કરતાં)
>b>તીર્થગુરુ ! લોક મોહ પામે
એટલું રૂપ ત્ય્હારે છે હજી મ્હારૂં.
મ્હેં માન્યું કે દિવસ આથમ્યો;
સાગરનાં જલ વધે,
તો મ્હારાં પાપ વધે.
પણ આપને કાળાશ અડકી હોય
તો ગુરુજી ! ગંગામાં ધોજો.
તીર્થગોર : અમારે તીર્થવાસીને તે વળી
પાપ શાં ને પુણ્ય શાં ?
(નૃત્યદાસી જાય છે. નીચે પટમાં જયા ને તેજબા સ્નાનશુદ્ધિ કરી આવે છે.)
જયા : હું તો જોગણ બની છું મ્હારા વહાલમની;
વહાલમની,
પ્રેમઆલમની;
હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.
વનવનના મહેલ, પ્રીતમ ! ત્હારા વિણ સૂના છે;
તીરથના ઘાટ, પ્રીતમ ! જોગીથી જૂના છે;
રસિકા એ રસના ઉપાસકની;
હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.
તરૂતરૂના પાને, પ્રીતમ ! નામ જો ! ત્હારૂં છે;
રેખરેખામાં પ્રીતમ ! ભાગ્ય જો મ્હારૂં છે;
દાસી એ દિલના દિલાવરની;
હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.
તેજબા: દેવિ ! ગંગાજલમાં ન્હાયાં
તે જાણે પુણ્યોદકમાં ન્હાયાં.
આત્મા યે ઉતારે છે
પોતાનો સર્વ અન્ધકાર.
-ને ત્હેં જેનો ભેખ ઓઢ્યો
તે કોણ ?
જયા : આર્યે ! તે એક હતો.
હિમાલયને શિખરે સૂર્ય ઉગતો,
તે યે ઝંખવાતો હતો
ગિરિદેશના એ માર્તંડરાજથી.
હતો, એક હતો જોગી,
સંસારમાં યે સંન્યાસી સમો.
શોધું છું એ સાધુવરને,
દિલમાં છે ત્હેને દુનિયામાં.
તેજબા : પ્રભુનાં જગત છે
તો પ્રભુનાં જન લાધશે ત્હેમાં.
બ્રહ્મર્ષિના આશ્રમ સૂના નથી.
ચાલો પેલે ઉંચે મન્દિરે દર્શને.
એકાન્ત છે, ત્ય્હાં શાન્તિ હશે.
(તેજબા ને જયા ભેખડે ચ્હડે છે.)
તીર્થગોર : अन्य क्षेत्रे कृतं पापं
तीर्थक्षेत्रे विनष्यति.
તેજબા: જય સચ્ચિદાનન્દ, ગુરુદેવ !
તીર્થગોર : સચ્ચિદાનન્દ, માઇ !
સત્, ચિત્, આનન્દ.
આવો, ને આનન્દ કરે
(તેજબા જયા સ્હામું જૂવે છે, તીર્થગોર સ્હામું નિહાળે છે. તીર્થગોર દોરે છે, ને સહુ મન્દિરમાં પ્રવેશે છે. નીચે તટમાં કાશીરાજ ને શેવતી આવે છે.)
શેવતી : પિયુ ! પ્રેમનું પ્રભાત,
પિયુ ! પ્રેમનું પ્રભાત,
પ્રગટ્યા પ્રકાશ પરમ સ્નેહના જો !
પિયુ ! ઉતરી એ રાત,
પિયુ ! ઉતરી એ રાત,
સૂરજો તપે છે દિલે-દેહમાં જો !
અમે આશાને આંગણે ઉભાં હતાં;
અમે ભાવિના આભમાં જોતાં હતાં;
ઉગી ભાગ્ય કેરી ભાત,
ઉગી ભાગ્ય કેરી ભાત,
ઉઘડ્યાં ઉજાસ સૌભાગ્યનાં જો !
પિયુ ! પ્રેમનું પ્રભાત.
(પાપમન્દિરનો ઘુમ્મટ ફોડી જયા ગંગાજલમાં કૂદી પડે છે. પાપમન્દિરનાં દ્વાર તોડી ચંડી સમી તેજબા તીર્થગોર ની જટા ઝાલી બહાર ખેંચી લાવે છે.)
તેજબા: ભૂલ્યો, ઓ પાપમન્દિરના ગુરુ !
તું ભુલ્યો આજે.
ફેંકું છું સદા ન્હાવાને કાજ
પાતાલઊંડાં આ જલનાં વમળોમાં.
એ બાલાને તો વરદાન છે કે
આ ભવમાં અભડાવશે જ નહીં
પુરુષનો કોઈ દેહસ્પર્શ.
વીજળીને અડકે તે દાઝે,
એમ દાઝે છે એને અડકે છે તે.
તીર્થગોર : પણ-ત્હમે-
તેજબા: હું ?
(તીર્થગોર ની જટા ખેંચતાં છૂટી જાય છે, ઓઢેલું વસ્ત્ર સરી પડે છે, અર્ધદેહ ઉઘાડી થાય છે. તેજબા ત્હેને નિહાળી રહે છે, ને ઓળખે છે.)
હું ?
સિંહધ્વનિએ ગાજે છે.
ઓળખે છે મ્હને ? રૂદ્ર !
(તીર્થગોર ચમકી ઉઠે છે.)
સરસ્વતી કોણ ? ને ક્ય્હાં છે ?
જો આ ઉદર ઉપરનો મયૂર,
ને જો ત્હારો ઉદરમયૂર.
તીર્થગોર : કોણ ? બ્હેન સરસ્વતી ?
યુગના યુગથી વિખૂટાં હતાં;
ને વર્ષોનાં વાદળમાં
સન્તાયાં હતાં સ્મરણો ત્હારાં.
હા ! બ્હેન વિશે મ્હને પાપભાવ જાગ્યો !
તેજબા: સૃષ્ટિમાંની સર્વ સુન્દરીઓને
બ્હેન પ્રમાણજે, ઓ પાપગુરુ !
સહુમાં તુજ બ્હેનની મૂર્તિ જોજે.
રાક્ષસ જન્મ્યો તું બ્રહ્મકુલમાં.
(જનાન્તિકે નીચે ગંગાપટમાં)
કાશીરાજ : આજ મ્હારા જીવનનું મુહૂર્ત.
શેવતી: આજે ઉગી મ્હારી યે અક્ષયતૃતિયા.
રાજેન્દ્ર ! કુમારે આનન્દે છે આયનો
આ તમ દયિતાને દેહ.
કાશીરાજ: ચાલો વાટડી નિહાળે છે
વારાણસીના મ્હારા રાજમહેલ.
(બન્ને સિધાવે છે. નદીતટમાં પોકાર.)
‘ઓ તીર્થગોર ! ત્હમારી બ્રહ્મકન્યા
હરી ગયા કો રાજવી.’
(તેજબા ને તીર્થગોર ચમકે છે.)
તીર્થગોર : મ્હારી શેવતી ! મ્હારૂં રત્ન !
તેજબા: રાવણવંશી ઓ બ્રહ્મરાક્ષસ !
મા વીસર કે સર્વ સુન્દરી
કોઈક પિતાનું કન્યારત્ન છે.
ત્હારા કન્યારત્નને પુણ્યોજ્જ્વલ વાંછે,
તો કોકના કન્યારત્નને મા અભડાવતો.
अन्य क्षेत्रे कृतं पापं
तीर्थक्षेत्रे विनष्यति
ઓ અર્ધજ્ઞાની અન્ધકારમૂર્તિ !
શીખ ઉત્તરાર્ધ એ મન્ત્રનો, કે
तीर्थक्षेत्रे कृतं पापं
वज्रलेपो भविष्यति.
જાઉં છું જયાને શોધવા.
પણ આવીશ, રહીશ,
અહીં વસીશ ગંગાતીરે,
ને પાપમન્દિરનાં કરીશ પુણ્યમન્દિર.
(તેજબા જાય છે. પાપમન્દિરનાં ખંડેર ભણી તીર્થગોર નિહાળી રહે છે.)
( ક્રમશ: )