-રજનીકુમાર પંડ્યા
સપ્ટેમ્બરના 2001ના અંતભાગની એક વહેલી સવારના પહોરમાં એક મદ્રેસામાં ભણાવતી જાફરહુસેન મન્સુરી ની દીકરી શહેનાઝનો મારા પર ફોન આવ્યો હતો. ‘ અંકલ, પાપા આપકો યાદ કરતે હૈ, કલ રાત એટેક આયા થા. તાબડતોબ વી એસ હોસ્પિટલમેં દાખલ કિયેલા હૈ. આપ આઓગે ?’
હું તાબડતોબ પહોંચ્યો ત્યારે આ જનાબ આઇ સી યુ માંથી શિફ્ટ થઇને ઓર્ડીનરી વૉર્ડમાં આવી ગયા હતા. પણ એ સી તો ત્યાંય હતું. મેં પરિસ્થીતીની ગંભીરતા જાણી હતી, પણ એનું વજન હું જાણતો નહોતો. એમને હસાવવા થોડી મશ્કરી કરી ; ‘ અરે, મન્સુરીસાહબ, ઘરમેં હાથપંખા લાને કે લાલે હૈ, ઔર આપ યહાં ઠંડે ઠંડે એ સી મેં ?’
(વી.એસ.હૉસ્પિટલમાં જાફરહુસેનની મુલાકાતે લેખક)
એ ફિક્કું હસ્યા અને પછી કાલ રાતના આખા ઘટનાક્રમની વાત બોલી ગયા. છેવટે વાતની પૂંછડી અહિં આવી : “ડાકટરને એન્જીયોગ્રાફી તો કરી મગર અબ રિપોર્ટ નહિં દેતે.’
‘ક્યું ?’
એ નીચું જોઇ ગયા અને શહેનાઝ પણ. ખબર પડી ; ‘ડોક્ટર કહેતે હૈ સાડે પાંચ હજાર લે આઇયે ઔર રિપોર્ટ લે જાઇયે. ઔર રિપોર્ટ કા રાઇટીંગ મેં રીડીંગ કરને કા દો હજાર ઔર.’
મદદ માટેનો ઇશારો સ્પષ્ટ હતો. છતાં મેં પૂછ્યું: “ઘરમેં કિતને પડે હૈ” “
લાલ લાલ દોરાવાળી મોટી અને ભીની આંખો મારા તરફ ફેરવીને બોલ્યા :’ પાંચસો-હજાર’ પછી બોલ્યા: ’શાકભાજી કે વકરે કે પરચુરણ પડેલે હોંગે.’
મને ખબર હતી કે જો આ માણસ પોતાના લોકેશનનો લાભ લઇને ધારે તો ‘બૉસ‘ લોકો એનો ખર્ચો જોગવી જ દે એવું કરી શકે. આ કંઇ અલ્લાઇ ગાવડી નહોતો અને માટે આ ધંધાના ઝપાટામાં ફંટાઇ જવું સ્વાભાવિક હતું પણ પણ એની દિશાની સોય જનમથી જ ફરી ગઇ હતી. હવે એનું હોકાયંત્ર એ દિશા બતાવતું જ નહોતું. હવે એની પાસે જુની ફિલમનાં ગીતોની રેકોર્ડ્સ અને એના બકરીના પાતળા દૂઝણાં જેવી રેકોર્ડીંગ ડેકથી વધુ કંઇ આકર્ષણ નહોતું. બાળકો પણ એટલું કંઈ કમાતા નહોતા અને સામે ખર્ચા ?
(પોતાના ખજાનાના એક ‘રત્ન’ સાથે જાફરહુસેન)
છેવટે હું બહાર નીકળ્યો .મારા જેવા બે-ચાર મિત્રોને કાને વાત નાખ્યા સિવાય પણ છૂટકો નહીં. એમાં બે મને અત્યારે યાદ છે. એક અમદાવાદની વિખ્યાત ગ્રામોફોન ક્લબના સંસ્થાપક દોસ્ત અરવિંદ દેસાઇ (હવે તો સ્વર્ગસ્થ) અને બીજા એ દિવસોમાં ‘સંદેશ’માં કામ કરતા પત્રકાર ઉર્વીશ કોઠારી. જો કે, બીજા પણ હશે પણ એ અત્યારે યાદ નથી.
એન્જીયોગ્રાફી તો આ રીતે રુપિયા જોગવીને પાર પાડી શકાઈ. પણ રિઝલ્ટ ?
હવે એ રીડીંગના રૂપિયા બચાવવાના હતા .એ વખતે મને ડૉ તુષાર શાહ યાદ આવી ગયા. કારણ કે એ સાહિત્યના-સાહિત્યકારોને ચાહનારા હતા ( હવે તો વિશ્વપ્રસિધ્ધ ડોક્ટર તેજસ પટેલ પણ એવા જ દિલદાર છે પણ એમને હું એ દિવસોમાં ઑળખતો નહોતો.) ડૉ તુષાર વિખ્યાત લેખક અશ્વિની ભટ્ટની હૃદયરોગની સફળ સારવાર કરતા હતા એ હું જાણતો હતો. મારા પણ એક બે સ્નેહીઓના કામ તેમણે નિઃસ્વાર્થભાવે કરી આપ્યા હતા. એ દિવસોમાં એ પાલડી ચાર રસ્તા ઉપર શેફાલી કોમ્પ્લેક્સમાં કન્સલ્ટેશન આપતા હતા. ડૉ. તરુણ દવે પણ કદાચ એમના સહયોગી હતા.
મારી ભલામણ લઇને જાફરહુસેન એમને ત્યાં પહોંચશે ત્યારે એ મને ફોન કરશે એની મને ખાતરી હતી. અને એમનો ફોન આવ્યો જ, પણ ઘડીભર ધ્રૂજારી પ્રસરાવી દે તેવો.
એ બોલ્યા : ‘અરે, રજનીકુમાર, તમે આ બોમ્બવાળા મુસલમાનને મારી પાસે મોકલ્યો ?’
હું અણધાર્યા અને આકરા સવાલથી ચોંકી ગયો. અને કશું સમજું તો પહેલા તો ડૉ. તુષાર શાહે બીજો જ આંચકો આપ્યો : ‘ આ તો બોંબ સાથે જ લઇને ફરે છે !’
‘અરે તુષારભાઇ, કેવી વાત કરો છો?’ મેં કહ્યું: ‘તમારી કંઇ ગેરસમજ થાય છે. એ માણસ ભલે દરીયાપુરમાં લતીફની બાજુમાં રહેતો હોય પણ એ પોતે એવો નથી. બહુ સરળ માણસ છે. અરે, દારુને પણ હાથ નથી લગાડતો ‘
બીજી જ મિનીટે ડો તુષાર શાહ ખડખડાટ હસ્યા. બોલ્યા : ‘સરળ માણસને કાર્ડીઆક પ્રોબ્લેમ ના થાય એવું થોડું છે ?
‘પણ યાર….’ મેં અકળાઇને કહ્યું: “બોમ્બની વાત કરતાં કરતાં ડૉક્ટર, તમે તો તમારા પ્રોફેશનની વાત પર આવી ગયા ! બોમ્બની વાત કરો. તમે ખરેખર એની પાસે બોમ્બ જોયો ? ખરેખર ?”
‘એ જ તો વાત કરું છું.” એ બોલ્યા: ‘એની છાતીમાં બોમ્બ છે એમ જ સમજજો. ગમે ત્યારે ફાટશે અને એના ફૂરચેફૂરચા ઉડી જશે’
આખી વાતની મને ગડ બેઠી. અને સાથે હાશકારો પણ થયો .આ મીયાંને ડોક્ટર બોમ્બવાળો મુસલમાન મજાકમાં જ કહેતા હતા, અને ચિંતાતુર થઇને કહેતા હતા. પણ એ ગંભીર સમાચાર હળવી રીતે મને એક મજાકીયા વાક્યમાં આપતા હતા. દિવસો જ એવા ભારી હતા .કોમી દંગાની દહેશતનું વાતાવરણ ચોવીસેય કલાક ગોરંભાયેલું રહેતું હતું. એમાંથી હળવા થવા માટે એ દિવસોમાં લોકો પોતાના ચાર વર્ષના તોફાની બાળકને ‘આતંકવાદી’ કહી લેતા અને કજીયાળી બૈરીને ‘ત્રાસવાદી’ કહી લેતા. પતિ ક્યારેક આયાતોલા ખોમેની બની જતો અને પત્ની ફૂલનદેવી. પડોશીઓ પાકિસ્તાનીનું બિરુદ પામતા અને તારક મહેતાના પ્રતાપે લુચ્ચા સાળાઓ ‘સુંદરલાલ’ અને બૉસ ‘બેમાથાળા’ બની જતા. સરખામણીની એ રીત રુચિકર ન હોય તોય સારી હતી. તંગ મનોદશામાં આ રીતે જ થોડી હળવાશ ઘોળી શકાતી.
પણ ડોક્ટર તુષાર શાહનું બીજું વાક્ય સિરિયસ હતું. એમના જેવા નિષ્ણાત મિત્ર પાસે આ જાફર હુસેન મન્સુરીને એના ઇકો કાર્ડીયોગ્રામ અને બીજા કાગળો લઇને નિદાન જાણવા મોકલ્યા હતા. અને એ પ્રમાણે આ જાફરહુસેન મન્સુરી તબીબી ધોરણે સિરીયસ તબક્કે હતા. એંસી ટકા બ્લોકેજ એ વાત કંઈ સામાન્ય નહોતી.
‘તમે આ દરીયાપુરના મિયાંને કેવી રીતે ઓળખો ?’ ડોક્ટર મને પૂછતા હતા ત્યારે એ આખો સિલસિલો મને યાદ આવી ગયો.
**** **** ****
-1985 માં અમદાવાદ સ્થાયી થયો ત્યારે મારી કોલમ ‘ઝબકાર’ અતિ લોકપ્રિય થઇ હતી. એ વખતે ‘સંદેશ’માંથી મારું સરનામું મેળવીને આ જાફરહુસેન એક વાચક તરીકે મને શોધતા શોધતા આવ્યા હતા. એમને સંગીતકાર જયકિશન વિષેની મારી લેખમાળા ગમી ગઇ હતી તો એમની પાસે શંકર-જયકિશનના દુર્લભ ગીતોની 78 આર પી એમની પુષ્કળ રેકૉર્ડ્સ હતી. અમારો ઉપલકીયો પરિચય ઉપલકીયો જ રહેત પણ એમાં આ સંગીતના અમર રસાયણના ચાર બુંદ ભળી ગયા અને સામાજિક કે માનસિક ધોરણે સાવ કક્ષાભેદ છતાં રીતસર અનુભવી શકાય એવી મૈત્રીની થોડી થોડી લીલોતરી બની આવી. અવારનવાર એ મારે ત્યાં આવી ચડતા. મોબાઇલ તો એ દિવસોમાં હતા નહિં, પણ સાદો ફોન એમની નજીકની એક હોટેલમાં રૂપીયો આપીને વપરાય પણ એનોય વેંત કરતાં વિચાર ઉપજે કે ચાલ, ચાલી નાખીએ દરીયાપુરથી મણીનગર સુધી. ટાંટીયા એમ કંઇ ઉભા ઉભા પેટ્રોલ માગતા નથી. બસ, એમ જ હું મારા રૂમમાં બેઠા બેઠા રાતે કામ કરતો હોઉં અને એવે ટાણે ડોરબેલ વાગે. જાકારો તો અપાય નહિં. આવા અનેક મારા અનુભવ . ક્યારેક હું કંઇક કલ્પીને પૂછી લેતો. તો ધારેલું જ રીએક્શન મળતું. ‘યું તો નૌ બજે ખાના ખાકે આયા મગર આપ કહેતે હો તો….’. ‘આપ’ સમજીને જ બેઠા હોય- ભુખ્યા ‘ભ્રામણ’ને જ જમાડાય એવો કાંઇ કાયદો નથી. સામે બેઠેલાને દરેક બુભુક્ષિતને ‘ભ્રામણ’ જ ગણી લેવો. ઘણીવાર મીયાં બોલે નહિં, પણ જાતે ટેબલ પર કાચની પ્લેટ ચત્તી કરીંને બેસે એટલે પછી ફ્રીજે ખુલવાનું જ હોય. એક વાર મીયાંને ચાની મરજી થઇ આવી .‘હમણા જ મહેમાન ગયા. હવે ઘરમાં દૂધ નહિં હોય’ એમ હું બોલ્યો અને પાછો હું જ ઉભો થઇને ફ્રીજ ફંફોસવા માંડ્યો. દૂધ તો ખરેખર નહોતું જ, પણ પુંઠાના એક બોક્સમાં જેતપુરથી આવેલા મશહૂર એવા ભગતના કેસરીયા પેંડા પડ્યા હતા. એ મેં એમને ‘ચાય કે બદલે’ ધર્યા તો એ ઉભા થયા. પ્લેટફોર્મ પરની એક ઉંધી તપેલીને ચત્તી કરી. એમાં પાણી નાખ્યું અને મહીં પેંડો ચોળીને પીળું દૂઘ બનાવ્યું અને પછી એની વિચિત્ર રંગની ‘રગડા’ ચા બનાવીને પીધી ! તરુ (પત્ની) પણ અંદર ગાઢ નિંદરમાં સૂતાં હોય, પણ એના ઢાંકોઢૂંબો કરેલા અને રાતે માંડ જંપેલા કિચનમાં મધરાતે આવા ખેલ ચાલે. જો કે, સવારે એય સમજી જાય. ‘રાતે જાફરભાઇ આવ્યા’તા ને? હેં ? સાચું કહેજો, હો !” આ ‘હેં ? “ નો જવાબ પ્રત્યક્ષ એનેય દેખાતો હોય પછી મારે બોલીને શું કબુલવાનું ?
વાચનરસિયા જાફરહુસેન તારક મહેતાના જબરદસ્ત ફેન હતા. એમની ફરમાઇશથી એમની મન્શા પૂરી કરવા એક વાર હું તારક મહેતા મદ્યપાન કરતા એ જમાનામાં એમની ઝુમખીની ખડકીને ઘેરથી દરીયાપુરના અંદરના ગાળે જાફરના એક દોસ્તને ત્યાં લઇ ગયો હતો. તારક મહેતાના પચાસ પ્યાસી ચાહકો એમને ઘેરી વળ્યા. પછી અર્ધી રાત સુધી ટપૂડાની વાતો સાથે એ મદ્ય મહેફીલ ચાલી. એ દિવસો એ લતામાં કોઇ પણ હિંદુ માટે જોખમી ગણાતા, પણ જાફરે અમારું બરાબર રખોપું કર્યું. ગાડીમાં અમારી સાથે એ બેઠા. વચ્ચે વચ્ચે બોલતા પણ ગયા, ‘દેખિયો, યે લતીફ કા ઘર. યે ગલીમેં ગુલામભાઇ કા ધંધા. યે છોટી સી ખિડકી દેખી ? વહીં સે રાજસ્થાન કા માલ ગીરાગ કો ડીલીવર હોતા હૈ. એક જને કો એક હી મિલતી હૈ. દૂસરી લાખ રૂપયે દેણે પર ભી નંઇ દેતે. ….યે લડકા રસુલભાઇ કી તીસરી બીવી કા.. ધંધા સિખતા હૈ. ઔર યે મકડી પહેલવાન. યે ….યે…યે.. મકાન, યાં પે હિંદી ફિલિમ કે એક્ટર રહેમાન કા સસુરાલ, પરસોં હિ ઉસકી ઔરત યાં પે ખડી થી..યાં..’
મને અને તારક મહેતા (અને સાથે કદાચ મારા ભાણા ચંદ્રેશ અધ્વર્યુ હતા) ને ઝુમખીની ખડકી ઉતારીને એ તરત પાછા વળી ગયા ત્યારે ઇંદુબહેન તારક મહેતા સહિત બધા ઉચ્ચક જીવે જાગતા હતા. સામેના ઘેર તારકભાઇના પિતા જનુભાઇ માંદગીના બિછાને હતા પણ સૌને એમના દરદ કરતાં વધુ ફડકો અમારો દરિયાપુરનો હતો.
જાફરહુસેન સાથે એ પછી પણ સંબંધ વધુ ગાઢ થતો ચાલ્યો. 1996માં હું એમને મારી ઈન્ડો-અમેરિકન ડોક્યનોવેલ ‘પુષ્પદાહ’ના તા 3-1-1996 ના વિમોચન સમારંભમાં મુંબઇ લઇ ગયો. પાટકર હૉલના સમારંભમાં તો એમણે હાજરી આપી જ, પણ એ પણ પછીની રાતે મારા પરમ મિત્ર નટુભાઇ અંબાણી (ધીરુભાઇ અંબાણીના નાનાભાઇ અને છેક 1957 થી મારા ગાઢ ભાઇબંધ)એ મારા એ પ્રસંગના ઉપલક્ષ્યમાં મારા મિત્રોને બહુ મોટી સંખ્યામાં પોતાના અલ્ટમાઉન્ટ રોડ પરના વિશાળ આવાસ ‘રીઝવી પાર્ક’માં આલાગ્રાન્ડ ડીનર-પાર્ટી આપી. પોતાના વર્તુળ ઉપરાંત મારા વર્તુળના બસો જેટલા મિત્રોને એમણે ડ્રિંક્સ અને ડિનર પર નિમંત્ર્યા. ઓબેરોયમાંથી ખાસ બારટેન્ડરને તહેનાતમાં હાજર રાખ્યા. એ વખતે જાફરહુસેનની ઓળખાણ મેં સૌ મિત્રોને સંગીતસંગ્રાહક તરીકે આપી, જેથી તેમને થોડું કામ મળી રહે.(આ પ્રસંગની વિડીયોગ્રાફીમાંથી એક તસ્વીર અહિં મુકી છે, જેમાં પીળા શર્ટવાળા એવા મારી બાજુમાં જાફરહુસેન કોકનો ગ્લાસ પકડીને ઉભેલા દેખાય છે).
(નટુભાઈ અંબાણીને ત્યાં પાર્ટીમાં (છેક ડાબે) જાફરહુસેન અને (પીળા શર્ટમાં) લેખક)
‘તમે આ દરીયાપુરના મિયાંને કેવી રીતે ઓળખો?’ જેવા ડૉ તુષાર શાહની નિર્દોષ ઉલટતપાસના જવાબમાં મારા મનમાં આ આખી ફિલમ ચડી ગઇ હતી..
પણ જલ્દી એને મેં ઉતારી દીધી .હવે સળગતો સવાલ હતો : એંસી ટકા બ્લોકેજ !
મારા મિત્ર, કાર્ડિયાક સર્જયન ડૉ. તુષાર શાહને મેં મારા મનથી એના ખર્ચનો પચાસ હજારનો અંદાજ કહ્યો.(એટલા તો હું એકઠા કરી શકીશ, એવી જાતની, જાતને હૈયાધારી !) પણ તરત જ એનો છેદ ઉડી ગયો. ડોક્ટર બોલ્યા: ” ક્યાંય ચેરીટીમાં કરાવો તોય પચાસ હજારમાં ના પતે. આની છાતીમાં એટમબોમ્બ છે. કોઈ પણ ઘડીએ ફાટે. હું અને ડૉ તરુણ દવે અમારી ફી જતી કરીએ, તો પણ લાખ સવા લાખ જોઇએ. એટલા ભેગા કરો તો કાંઈક વાત બને. બાકી અલ્લા અલ્લા કરો !’
સમર્થ એવા મારા દોસ્ત નટુભાઇ અંબાણી તો 1999 માં અવસાન પામ્યા હતા, એ પછી તરતના ગાળે સ્મિતાભાભી પણ..
હવે કોને કહેવું “
પણ પછી જે ચમત્કાર થયો તેની વાત આવતા અને અંતિમ હપ્તામાં.
—————————————————————————————————————————–
લેખકસંપર્ક:
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com






Interesting
very touchy story…
બહુ જ રસિક કથા. હવે આગળણો હિસ્સો વાંચવો રહ્યો.
જકડી રાખે એવી સત્યકથા.
Rajnibhai, jayare bole che tayare eak sathe 100 darvaja khule Che.
આપની કસાયેલી કલમે બીજા કિશ્તમાં રજૂ થયેલ નેકદિલ ને ફોલાદી છાતીવાળા ઇન્સાન જાફર હુસેનની આંતરવેદનાને ઘૂંટતી દાસ્તાં મર્મસ્પર્શી રહી
Mane pan a divso yaad aave chhe.. 80tis ma emne ane tamne malvanu bantu..Yatrik na geeto mate ghana dhakka ane emni rahenikarni…je tame aabehub raju kari…Vo bhuli dastan..haal emno pand kharo…!!?/
Tame to amara kayam na ladka chho tethi AABHAR nathi manto..
વાતના વખાણ તો બીજા મિત્રોએ કરી જ દીધા એટલે કાંક નવી વાત કરું?
પેંડામાંથી ચા બનાવવાની રેસિપિ એકદમ ઓરિજિનલ છે !