





દીપક ધોળકિયા
(૧) હવે ૧.૫૦થી ૨૦ ગરમી વધશે તો સમુદ્ર પણ બે ફુટ ઊંચે ચડશે.
યુનાઇટેડ કિંગડમના નૅશનલ ઑશનિક સેંટરના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાતાવરણમાંથી ૨૦ ગરમી ઓછી કરવાનો રાષ્ટ્રસંઘનો પ્રસ્તાવ ગંભીરતાથી અમલમાં નહીં મુકાય તો દુનિયાની ગરમી ૧.૫૦થી ૨૦ જેટલી વધશે, પરિણામે સમુદ્ર પણ ૫૨ સે.મી.થી ૭૫ સે.મી જેટલો ઊંચે ચડશે. અને ૨૧૦૦ની સાલ સુધીમાં સમુદ્રો ૧૧ સે.મી. ઊંચે ચડ્યા હશે. આખી દુનિયામાં આને કારણે ઠેર ઠેર પૂર આવશે. આ પૂરનો સામનો કરવામાં જ ૧૪૦ લાખ અબજ ડૉલર ખર્ચવા પડશે. ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશોનો પૂર સંબંધી સેવાઓ પરનો ખર્ચ વધીને એમની જી. ડી. પી.ના આઠ ટકા જેટલો હશે. ચીનમાં સૌથી વધારે નુકસાન થવાની સંભાવના છે. બીજી બાજુ ઉચ્ચ આવકવાળા દેશોમાં પૂર સામે સલામતીની વ્યવસ્થા વધારે સારી હોવાથી એમને આર્થિક રીતે ઓછું ભોગવવું પડશે. ભારતના પાડોશી માલદીવ જેવા દેશો નીચાણવાળા વિસ્તારોમાં છે. એમના કાંઠે સમુદ્રની સપાટી ઊંચે જવાનું એક નિત્યક્રમ જેવું બની જશે.
S Jevrejeva1,6, L P Jackson2, A Grinsted3, D Lincke4 and B Marzeion5
Published 4 July 2018 • © 2018 The Author(s). Published by IOP Publishing Ltd
Environmental Research Letters, Volume 13, Number 7
સંદર્ભઃ (૧) http://ioppublishing.org/rising-sea-levels-cost-world-14-trillion-year-2100/
(૨) www.sciencedaily.com/releases/2018/07/180703190745.htm
૦-૦-૦
(૨) આકાશગંગાને નડ્યો અકસ્માત
‘સોસેજ’ ગૅલેક્સીએ આકાશગંગા (દૂધગંગા) સાથે અથડાઈને એના ઘાટઘૂટ બદલી નાખ્યાં છે. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે. અવલોકન કરીને આ તારણ આપ્યું છે. જો કે આ અકસ્માત આજકાલમાં નથી થયો. આઠથી દસ અબજ વર્ષ પહેલાંની આ વાત છે. એક નાની ગૅલેક્સી આકાશગંગા સાથે અથડાતાં એની અંદરનો ભરાવો વધી ગયો અને બહારથી એ ઝગમગ થવા લાગી. વૈજ્ઞાનિકોએ એને ‘સોસેજ’ ગૅલેક્સી નામ આપ્યું છે. ‘સોસેજ’ માંસની બનાવેલી નળાકાર વાનગી છે. એને કાપો તો જેવા લંબ નળાકાર ટુકડા બને તેવા પિંડો આકાશગંગામાં જોવા મળ્યા. એ ગૅલેક્સી પોતે તો સદંતર નાશ પામી પણ એનો મલબો, એટલે કે તારા હજી પણ આકાશગંગામાં જોવા મળે છે. એ તારાઓની ગતિ આકાશગંગાના કેન્દ્ર તરફ છે, સામાન્ય રીતે એ એક ભ્રમણકક્ષામાં હોવી જોઈએ.
એમણે આકાશગંગાના હાલ જાણવા યુરોપિયન સ્પેસ એજન્સીના ‘ગાઇઆ’ સૅટેલાઇટનો ઉપયોગ કર્યો.
(Gaia (ગાઇઆ = ગ્લોબલ ઍસ્ટ્રોમીટ્રિક ઇંટરફેરોમીટર ફૉર ઍસ્ટ્રો ફિઝિક્સ) આપણી આકાશગંગાનો ત્રિપરિમાણી નક્શો બનાવવાની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે. આમ થવાથી આપણે આકાશગંગા કેમ ઉદ્ભવી, એનો વિકાસ કેમ થયો અને એની સંરચના કેવી છે તે જાણી શકીશું. ત્રિપરિમાણી નક્શો બનાવવા માટે આકાશગંગાના એક અબજ પિંડની ગતિ અને આકાર વિશે જાણવું પણ જરૂરી છે).
વૈજ્ઞાનિકોએ આ તારાઓની ગતિ અને દિશા માપી જોતાં એમને સોસેજના આકાર જોવા મળ્યા. એ બહારથી આવ્યા છે.
વળી આકાશગંગામાં તારાઓનાં આઠ મોટાં ઝૂમખાં પણ જોવા મળ્યાં. સામાન્ય રીતે નાની ગૅલેક્સીઓમાં તારાઓનાં ઝૂમખાં નથી હોતાં. આનો અર્થ એ કે સોસેજ ગેલેક્સી ઠીક ઠીક મોટી હતી.
સંદર્ભઃ https://www.simonsfoundation.org/2018/07/04/gaia-sausage-galaxy/
૦-૦-૦
(૩) વજન ઘટાડવું હોય તો ૧૬:૮નો નિયમ લાગુ કરો
‘યુનિવર્સિટી ઑફ ઇલિનૉઇસ ઍટ શિકાગો’ (UIC)ના એક સંશોધક જૂથનું કહેવું છે કે દરરોજ ‘ઉપવાસ’ કરવાથી વજન ઘટે છે અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. આના માટે એમણે ૧૬:૮નો નિયમ આપ્યો છે. આમાં તમારે કઈ વસ્તુમાં કેટલી કેલરી છે તેની ચિંતા નથી કરવી પડતી. એટલું જ નહીં, તમારે કે ખાવું હોય તે ખાઈ શકો છો તેમ છતાં વજન ઘટતું જશે. શું છે આ ૧૬:૮? કંઈ નહીં. દિવસના ૧૬ કલાક કશું જ ખાઓ નહીં (તો ઓચરવાની તો વાત જ ન વિચારવી!) અને જે ખાવું હોય તે નક્કી કરેલા ૮ કલાકમાં ખાવું.
આના અખતરા માટે એમણે ૨૩ જાડાં નરનારી પસંદ કર્યાં. એમને જે ખાવું હોય તે સવારના દસથી સાંજના છ વાગ્યા સુધીમાં ખાવાની છૂટ પણ સાંજના છથી બીજા દિવસની સવારના દસ વાગ્યા સુધી મોઢે તાળું! બીજું એવું જ પ્રાયોગિક જૂથ પહેલાં પસંદ કરેલું હતું તેના પર અમુક ખાવું, અમુક ન ખાવું. કેટલું ખાવું વગેરે નિયંત્રણો હતાં. હવે એમણે ૧૬:૮ વાળા જૂથનાં પરિણામો પહેલા જૂથનાં પરિણામો સાથે સરખાવી જોયાં તો જોવા મળ્યું કે ૧૬:૮ વાળા જૂથે ૩૫૦ એકમ કૅલરી ઓછી લીધી અને એમનું વજન ત્રણ ટકા ઓછું થયું.
(આપણે ત્યાં મુસ્લિમો રોઝા રાખે છે અને સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે કશું ખાતા નથી, તો જૈનો સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે કશું ખાતા નથી.. મિતાહાર પર તો બધા ધર્મો ભાર મૂકે છે. હિન્દુઓમાં પણ વ્રતો બહુ ઘણાં છે. જો કે આ વ્રતોમાં લોકો ૮:૧૬ના ઉલટા નિયમ પ્રમાણે વર્તે છે. ઘણી વસ્તુઓની જેમ આ થિયરી પણ આપણે શોધી જ છે! પશ્ચિમ આપણને વજન ઓછું કરવાની થિયરી શીખવે તે કેમ ચાલે?)
સંપર્કઃ Jacqueline Carey
jmcarey@uic.edu
twitter.com/JCareyUIC
સંદર્ભઃ https://today.uic.edu/daily-fasting-works-for-weight-loss
૦-૦-૦
(૪) ચીન વાહનોનું પ્રદૂષણ ઘટાડવા ટ્રકોનો ઉપયોગ ઘટાડશે
૨૦૨૦ સુધીમાં ચીન માલસામાનની હેરફેર માટે ટ્રકોનો ઉપયોગ ઘટાડી નાખશે અને ૩૦ ટકા માલ ટ્રેનો મારફતે લાવવા-લઈ જવાનું ધોરણ અપનાવશે. દેશમાં વાહનોને કારણે થતું પ્રદૂષણ હવે સીમા વટાવવા લાગ્યું છે. માલસામાનના એક એકમના વહનમાં ટ્રેન કરતાં ટ્રક ૧૩ ગણું પ્રદૂષણ ફેલાવે છે.
ગયા વર્ષે ચીનના રસ્તાઓ પર ૩૧ કરોડ વાહનો હતાં. દર વર્ષે ૨ કરોડ નવી કાર રસ્તા પર આવે છે. બીજિંગના આકાશમાં સસ્પેન્ડેડ પાર્ટિક્યૂલેટ મૅટર (SPM) ચોવિસે કલાક રહે છે. પર્યાવરણ મંત્રાલય કહે છે કે આ કારો ૪૫ ટકા પ્રદૂષણ માટે જવાબદાર છે. જો કે ચીને ગયા વર્ષથી જ માલગાડીઓ મારફતે માલવહનને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું પણ માત્ર ૦.૧ ટકા જેટલો જ વધારે માલ ટ્રેન મારફતે ગયો. હવે માત્ર અઢી વર્ષમાં ચીન ૩૦ ટકા માલ ટ્રેનો મારફતે લઈ જવા માટે શું કરશે તે જોવાનું રહે છે.
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
સી લેવલ રાઈઝની ભયંકર માઠી અસરોથી ભારત પણ એટલો પ્રભાવિત દેશ હશે. ભારતને ૭,૫૦૦ કિલોમીટર જેટલી તટીય રેખા મળી છે જે વિકાસની દ્રષ્ટીએ એક ઉત્તમ બાબત ગણી શકાય પરંતુ ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાથી માત્ર કલ્પના જ કરવી રહી કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક, કેરાલા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસા, પ.બંગાળ તેમ જ લક્ષદ્વીપ, પોંડીચેરી, આંદામાન-નિકોબાર દ્વીપ સમુહોની કેવી માઠી દશા થશે!! ચેતવણીની ઘંટી સતત વાગ્યા તો કરે જ છે અને હજુપણ કોઈ નક્કર પગલાં લેવામાં નહી આવે તો ૨૧૦૦ ની સાલની આપણી પેઢી તેના પૂર્વજો વિષે શું વિચારશે??
આભાર ચંદ્રશેખરભાઈ.
આ ગ્લોબલ વૉર્મિંગ ઓછું પડવાનું હોય તેમ આપણે ત્યાં સાગરમાલા વિકાસ યોજના ઘડાઈ છે. એમાં બંદરો વિકાસની ધરી બનશે. સમુદ્રકાંઠે હોટેલો બનશે, સહેલાણીઓ આવશે. માછલાંના જીવ પર માછલાં ધોવાવાનાંછે. કારણે કે આપણે પ્રોડક્ટિવિટી વધારવા માગીએ છીએ. એટલે નાના માચીમારોની જગ્યા મોટાં જહાજો લેશે જે એકસાથે ટનબંધ માછલી પકડી લેશે. અ-પુખ્ત માછલીઓ પણ જશે.
બે ગેલેક્ષીઓ અથડાઈ…
બ્રહ્માંડમાં આ હકીકત સામાન્ય છે. એવી જ રીતે તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, બાબત સમજવું. આપણે પૃથ્વી ઉપર પ્લાસ્ટીકના મલબાની ચર્ચા કરીએ છીએ અને કોઈક અથડાસે તો જેમ ડાયનાસોરનું રાજ ખતમ થઈ ગયું બસ એના જેવું.
કરોડો, અબજો ગેલેક્ષીઓ અને એક એક ગેલેક્ષીમાં કરોડો અબજો તારાઓ…. અને બધા નીયમીત સમયસર ચક્કર કે ગોળ ગોળ ફરે છે કે સમય પસાર કરે છે.
આપણો સુરજદાદો ગેલેક્ષીની નાભી આસપાસ ચક્કર મારે છે અને એક ચક્કરને એક વરસ ગણીએ તો હજી આ સુરજદાદા માંડ અઢાર વરસના કહેવાય.. આ બધું આઠમા અને નવમા ધોરણના બાળકને વરસોથી એટલે કે સમજો ગેલેલીયો ગેલેલીના જમાનાથી શીખવાડે છે.
આપણે તો ફાંકી મારીએ છીએ કે અમારા ધર્મ ગ્રંથમાં તો આ બધું લખેલ છે અને હનુમાન ચાલીસીમાં તો પૃથ્વી અને સુર્યનું અંતર પણ જણાંવેલ છે. આ અંતર ખબર હોય તો જ બાળ હનુમાન સુર્યને ખાવા જઈ શકે.