





-દેવિકા રાહુલ ધ્રુવ
કૃષ્ણ દવેની કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.
! ! ! ફેસબુક ! ! !
એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .
છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતાં આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .
બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતાં જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .
દુ:ખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નિરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .
– કૃષ્ણ દવે
* * *
રસદર્શનઃ
મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઊતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદૃષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ કહેતાં હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જિંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.
અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતાં આવડે તો તારી પણ વાગે કરતાલ.
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.”
વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દપ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે, તો એનો લય દિલને પુલકિત કરી દે છે.
બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઊભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.
ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં “દુ:ખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર” શું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જિંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નિરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..” આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.
કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે. મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ, ચેટ, લોગઈન, ટચસ્ક્રીન, લાઈક, રીક્વેસ્ટ, ફેસબુક, કોમેન્ટ, મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે, ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે. સીધી ફેસબુકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના ઉન્મેષ જગાવે છે. “એને’ એટલે ઈશ્વરને,પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે’માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ યથાર્થ બની જાત એમ લાગ્યું.
એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફુરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે, તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.
– દેવિકા ધ્રુવ
* * *
દેવિકા ધ્રુવનાં સંપર્કસૂત્રો :-
https://devikadhruva.wordpress.com/
email: ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169
શ્રી કૃષ્ણ દવેનાં સંપર્કસૂત્રો :-
કૃષ્ણ દવે :મોબાઈલ – + ૯૧ ૯૪૨૬૫ ૬૩૩૮૮
ઈ મેઈલ – Krushna Dave < kavikrushnadave@gmail.com > , < krushnadave@yahoo.co.in >
લો! ‘લાઈક’ કર્યું ! ( lie કર્યું !)
દુ:ખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર…
ફેસબુક ઉપર સુખ દુઃખની પ્રવૃત્તી કે કવીતામાં શામળીયો સામેથી મળવા આવે એ પણ જણાંવેલ છે….
અહીં પણ “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર” એ લાઈન જણાવેલ છે જ.
દેવિકાબેન, તમારા રસદર્શન વગર આ કાવ્ય ઘણા વાંચકો સમજ્યા વિના વાંચી ગયા હશે અને હસી પણ ગયા હશે! હવે આ કાવ્ય અને એના રચિતા માટે નવા દ્વાર ખુલશે. આભાર.
સુંદર કાવ્ય.
અતિ સુંદર રસાસ્વાદ