– રજનીકુમાર પંડ્યા
(મૂળ બગસરાના પણ કોલકાતાનિવાસી કાપડના વેપારીના પુત્ર કાંતિલાલ ગિરધરલાલ વોરા મહાન જાદુકલાનિષ્ણાત ( ‘જાદુગર’ શબ્દ એમને માટે નાનો પડે) ‘કે. લાલ’ તરીકે જગવિખ્યાત થયા. 1924ની 14 મી જાન્યુઆરીએ જન્મેલા કે.લાલે શુદ્ધ, સાત્વિક, નિર્વ્યસની અને ચારિત્ર્યવાન એવું ૮૮ વર્ષનું દીર્ઘ જીવન વ્યતિત કરીને 2012ની 23 મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સાબરમતિ નદિકિનારે આવેલા પોતાના નિવાસસ્થાને શાંતિમય રીતે વિદાય લીધી. કુલ 22000થીય વધુ શો કરવાનો તેમનો વિશ્વવિક્રમ રહ્યો છે. અનેક માન-સન્માન અને એવૉર્ડસ તેમને એનાયત થયાં છે. આ જાદુકલાને અને એ કલા દ્વારા થાય તેટલા સેવાકાર્યો કરવાના સિધ્ધાંતને તેઓ જીવનભર વફાદાર રહ્યા તે છેક ત્યાં સુધી કે તેઓ કેન્સરની જીવલેણ માંદગીને કારણે અશક્ત અને બીછાનાવશ હોવા છતાં અવસાનના માત્ર આઠ દિવસ પહેલાં પણ અમદાવાદના એચ કે હૉલમાં પુત્રના ચેરીટી શૉમાં સ્ટેજ પર આવીને એમણે ‘મેન કટીંગ’ ( દિકરાના દેહને કરવતથી કાપી બતાવવાનો) અને ખુરશી સાથે પોતે દોરડાથી મુશ્કેટાટ બંધાઈને આપમેળે છૂટી જવાનો ખેલ પણ કરી બતાવ્યો.
પેઢીઓની પેઢીઓથી માત્ર મદારીઓ અને ગારુડીઓના જ કંઈક અંશે નિમ્ન ગણાતા શેરીખેલને તેમણે એક ઉચ્ચકક્ષાની કલાનું લોકમાન્ય સ્થાન અપાવ્યું, જેનો આખી દુનિયામાં સ્વીકાર થયો. અગાઉ તેવા શો કરનારા કેટલાક જાદુગરો આ કલાને કોઇ અલૌકિક, કોઇ ગેબી, તિલસ્માતિ અથવા મેલી વિદ્યાના વાઘા પહેરાવીને લોકોને આંજી દેવાનો, ક્યારેક છેતરવાનો અથવા તો લુંટવાનો પ્રપંચ કરતા તેની જગ્યાએ કે લાલે તેને કોઇ પણ જાતના ભેદી, બિહામણા, સનસનાટી અને ધ્રુજારી જન્માવે તેવો અંચળામાંથી મુકત કરીને બહુ મોટા લોકસમૂહને એ પ્રતીત કરાવી દીધું કે આ બધા હાથચાલાકી, દૃષ્ટિભ્રમ, રજુકર્તાની આવડત સાથે ઝડપ, સમયબંધી,,રંગલીલા,વાકપટુતા ઉપરાંત ટેક્નોલૉજી જેવા અનેક પરિબળોના ચતુર સમન્વયની જ કલા છે. અને તે કલા સિવાય બીજું કશું જ નથી. તેમાં ચમત્કાર જેવું કોઇ તત્વ નથી.
11-9-1950 ના રોજ જન્મેલા તેમના પુત્ર હસમુખભાઇ કે જેઓ ‘જુનીઅર કે. લાલ’ તરીકે એટલા જ સુવિખ્યાત થયા, તેમણે પિતાના દેહાંત સુધી-એટલે કે 32 વર્ષ સુધી- આ વ્યવસાયમાં બરાબરનો સાથ આપ્યો. અને હજુ પણ સ્ટેજ પર સક્રિય છે. અલબત્ત, તેમના સંતાનોને ત્યાં પણ મોટાં મોટાં સંતાનો છે અને બધા ઉચ્ચ શિક્ષણ પામેલાં છે કે પામી રહ્યાં છે.
કે લાલનાં પત્ની અને ખરા અર્થમાં જીવનસંગીની પુષ્પાબહેન પણ એકંદરે સ્વસ્થ છે. એમને જોઇને સતત એમ થયા કરે કે કે લાલની જ્વલંત કારકીર્દિના દૈદિપ્યમાન તેજોવલયમાં એમની આભા પણ એકરૂપ થઇ રહી છે.
સદગત કે લાલ સાથેના મારા અંગત અને મીઠાં સંસ્મરણો આલેખવાનું આ પ્લેટફોર્મ નથી. નહિં તો એ પણ મારા જીવનની મોંઘી મિરાત છે.ત્રણ હપ્તાની આ લેખમાળામાં યોગ્ય સ્થળે તેમના અવસાનના માત્ર અઠ્ઠાવીસ દિવસ પહેલાં તેમની સાથે ઝડપવામાં આવેલી તેમની સાથેની વિડીયો ક્લિપ પણ મુકી છે, જેમાં તેઓ વર્ષો પહેલાં મેં તેમનાં બાની ઝડપેલી તસ્વીર તરફ આંગળી ચીંધી રહ્યા હોવાનું દેખાય છે.
અહિં કુલ ત્રણ હપ્તામાં કે લાલના ઉદગમની કથા આલેખી છે. વધારાની એક વાત થોડા સમય પછી…
જુનીઅર કે. લાલે પણ પડ જાગતું રાખ્યું છે. હવે આ મે માસમાં તેઓ જામનગર, બારડોલી,વાપી, કડી અને કલોલ જેવા કેન્દ્રોમાં કે લાલના જાદુખેલનો ઝંડો ફરકાવવા નીકળી રહ્યા છે.
મારો આ મૂળ લેખ 1882-83 ની આસપાસ લખાયેલો છે. જે મારા પુસ્તક ‘અક્ષરની આંખે’ (પ્રકાશક-રન્નાદે પ્રકાશન,ગાંધીરોડ,અમદાવાદ)માં સંગ્રહાયેલો છે.
– રજનીકુમાર પંડ્યા)
ઘરે આવેલા મહેમાનને એમ તો ન કહેવાય કે તમે ઊઠો, પણ મારે કહેવું પડ્યું : ‘હવે તમે ઊઠો અને જાઓ.’
‘કેમ?’ કે.લાલે પૂછ્યું : ‘મારાથી વાજ આવી ગયા ?’
‘ના, એવું તો નથી જ.’ મેં છાતી પર હથેળી મૂકીને કહ્યું :‘પણ મારા હૃદયના ધબકારા વધવામાં છે. કોઈ પણ ક્ષણે અડધો પોણો કલાક પછી પાંચસો સાતસો માણસોનું ટોળું મારા ઘર પર હુમલો લઈ આવે તો એ વખતે તમે મને ચકલી બનાવીને ઉડાડી નહિ દઈ શકો. મારે માણસના રૂપમાં જ માર ખાવો પડશે. માટે હે માયાવી મિત્ર, આપ સત્વરે સિધાવો ને તમારે ઉતારે જઈ, જમી કારવીને નવ વાગ્યે ટાટા હોલમાં શો શરૂ કરી દો. સાડા આઠ ને દસ તો અહીં જ થઈ ગઈ. હવે તમે જશો ક્યારે, જમશો ક્યારે, તમારા સાફા-શેરવાની પહેરશો ક્યારે, સોહામણું સ્મિત વેરશો ક્યારે ? સાડા નવ થઈ જવાના, ને નવસારીના માણસો પગેરું શોધતા મારા સુધી પહોંચી જ જવાના અને મારો ટોપલો ઓછો કરવાના… તમે સ્ટેજ પર લેડી-કટિંગ કરો છો. પણ અહીં જોજો, જેન્ટલમૅન કટિંગ થઈ જશે…’
લાલની રાણી પુષ્પાબહેન પણ ત્યારે વિમાસણમાં પડી ગયેલાં. મારું પૂરું થયું કે તરત જ એમણે શરૂ કર્યું : ‘હું તો ક્યારનીય કહું છું કે…’
‘તમે બધા વગર લેવેદેવે ગભરાઓ છો.’ લાલ ટાઢા કોઠે વળી સ્મિત કરીને બોલ્યા: ‘અહીં નાસ્તો કર્યો છે હવે જમવું નથી, અહીં તો હૉલ પર પહોંચતાં પાંચ મિનિટ, ત્યાં મેઈકઅપ કરતાં પાંચ મિનિટ ને અગિયારમી મિનિટે તમારું કટિંગ કરવા આવવાના એમ ધારો છો, તે લોકો ક્લેપિંગ (તાલિપ્રદાન) કરતા હશે.’
કલ્પના રમ્ય, પણ બુદ્ધિગમ્ય નહિ. કારણ કે જે કે. લાલ પાંચ મિનિટ માટે આવવાના હતા એ અમારે ત્યાં ત્રણ કલાક નીચા જીવે બેઠા. સમજો કે આજે શો કેન્સલ કર્યો છે. નહિતર નવ વાગ્યે શો કરનાર માણસ આઠ વાગ્યે ઊભો ન થઈ જાય?
આ વાત નવસારીની છે. એ પાંત્રીસ વરસ પહેલાંની રાતે પણ નવ વાગ્યે ટાટા હોલમાં તાળીઓ પડી જ. તાળીઓ પાડનારાઓમાં પાછા અમેય ખરા. નાનકડી જાદુગરણી નિશા એન્જિનિયરના પિતા સુનીલ એન્જિનિયર મારા કાનમાં બોલ્યા : ‘નિશાના ગુરુ કે. લાલ અને એમણે નિશાને જે પહેલો પાઠ આપેલો તે એ કે ઝડપ અને આત્મવિશ્વાસ એ જાદુકલાના બે મુખ્ય આધારસ્તભં છે. કહેતા હોય છે કાયમ, કે ઝડપ એ કલાને જન્મ આપનારી અને આત્મવિશ્વાસ એ એનો ઉછેર કરનારી ચીજ છે.’
સાંભળતાં સાંભળતાં વિચાર લહેરાઈ ગયો મનમાં કે કેવી અજબ જેવી વાત છે કે નિશાના આ ગુરુ કે.લાલનો તો કોઈ ગુરુ નથી. હજુ એક- દોઢ કલાક પહેલાં જ એમને પૂછેલું કે તમારા ગુરુનું નામ કહો, તો એમણે દંતપંક્તિ ચમકાવીને જવાબ આપેલો કે ગોગિયા પાશા જેવા સક્ષમ જાદુગર મારી પ્રેરણામૂર્તિ જરૂર છે, પરંતુ ગુરુ કહેતાં ગુરુ કોઈ નથી. બહુ વિચાર કરીને બહુ યાદ કરીને કહું છું ત્યારે બીજું નામ ગણપતિ નામના બંગાળી જાદુગરનું આવે છે. પણ પદ્ધતિસરનું ટ્યૂશન મને આપ્યું હોય એવું કોણ ? કોઈ નહિ.
‘પણ તો પછી વાણિયા વેપારીનો દીકરો જાદુગર થયો કેવી રીતે ?’
આવા સવાલો આમ તો સવાલો નહિ, પણ આશ્ચર્ય હોય છે. આશ્ચર્ય સો વાર. કે. લાલ એ વખતે સાઠ વર્ષના હતા. પણ પૂછનારનું વિસ્મય કદી શમ્યું નથી. કારણ કે મનમાં અમુક અમુક ખાનાં પાડ્યાં છે આપણે. ફ્રૂટની દુકાનવાળાનો છોકરો ફ્રૂટવાળો જ થાય, વેપારીનો વેપારી, અને નોકરિયાતનો નોકરિયાત, ગવૈયાનો ગવૈયો, રાજકારણીનો રાજકારણી, પણ જિંદગી જો આવાં ખાનાંની રચનાને ગણકારીને ચાલે તો જગત આદમઘર મટીને ચિડિયાઘર બની જાય. વાઘના પાંજરામાં વાઘ જન્મે, સિંહના ખાનામાં સિંહ, વાંદરાના ખાનામાં વાંદરા અને રીંછને ત્યાં રીંછ !
આવી ફિલસૂફી મેં વઘારી એટલે કે. લાલ ગળું ખંખાર્યું : ‘તમે બગસરા આવ્યા છો કદી ?’
‘એક વાર ડેલે હાથ દેવા આવેલો. પણ અત્યારે અહીં અપ્રસ્તુત, તમતમારે વાત કરો. તમે બગસરાના નગરશેઠ કુટુંબના દીકરા ને ?’
‘હા’ એ બોલ્યા :‘પણ આમ તો ત્રણ વર્ષનો થયા પછી હું કલકત્તા ચાલ્યો ગયેલો પણ અવારનવાર વતનમાં તો આવવાનું થયા જ કરે ને ?’
‘કલકત્તામાં તો કાપડનું કામકાજ હતું, નહિ ?’
‘પેઢી દર પેઢી કાપડનું કામ ચાલ્યું આવે છે. મારા બાપુજીનું નામ ગિરધરલાલ દેવચંદ. પણ મારા ભા એટલે કે પિતાના મોટાભાઈ લાલચંદબાપા કલકતાની કાપડની દુકાન સંભાળતા. છેક નાનપણથી ગાંધીજીના ઓછાયામાં આવી ગયા. હરિજનોને અડે. ગાંધીજી સાથે ટપાલ વ્યવહાર કરે. આવું થયું એટલે સાત ભાઈઓમાંથી એમને કાઢી મૂકાયા. દુકાન હતી.ચાલતી હતી. ત્યાં વિદેશી કાપડની હોળીનું એલાન અપાયું. એમાં લાલચંદ બાપાએ લાખ્ખોનું કાપડ સ્ટોકમાં હતું તેને દીવાસળી ચાંપી. એમાં મારાં બાનાં માન્ચેસ્ટર મિલનાં કપડાં હતાં. એ પણ ખાખ થઈ ગયાં. આમ નાહીધોઈને બેઠા પછી બીજી મૂડી જોગવીને એ જ દુકાનમાં ખાદી ભંડાર શરૂ કર્યો. એક વર્ષ ચલાવ્યો અને પછી ગાંધીજીએ સેવાનું એલાન કર્યું. એટલે મારા પિતાજી અને બીજા એક ભાઈને દુકાન સોંપીને લાલચંદબાપા નીકળી ગયા. જે હતું તેમાંથી મારા બાપુજી અને કાકાએ ફરીથી જમાવટ કરી.’
‘આમાં તમારી જાદુગરી ક્યાં આવી ?આમાં તો ગાંધીજીના જાદુની વાત છે.’
‘કેટલાક જાદુ વીજળી જેવા હોય, કેટલાક જાદુ વાદળ જેવા હોય, એ ધીરે ધીરે બંધાતા આવે.’ એ બોલ્યા: ‘બગસરામાં અમારું વીસ-પચ્ચીસ સભ્યોનું સંયુક્ત કુટુંબ અને નગરશેઠ કુટુંબ તરીકે દયાળ દેવચંદનો રોટલો બહુ મોટો ગણાતો. મોટો એ અર્થમાં કે આંગણે જે કોઇ આવે એ એમાંથી હિસ્સો પામે જ. ગામમાં ભવાયા આવે, નટ, ગારુડી, મદારી આવે સૌ કોઈને હરિહર કરાવવાનું જ. ‘જમાડવા’ શબ્દથી જમાડનારને થોડો ગુરુતાનો ભાવ આવી જાય એટલે આપણા કાઠિયાવાડમાં ‘હરિહર કરવું’ શબ્દ બોલાય છે. ખબર છે ?’
‘બ્રાહ્મણ થઈને ‘હરિહર’નો અર્થ ન જાણું ?’
‘ભુલી ગયો. પણ ઘણા માઠા માણસો ‘હરિહર કરાવ્યું’ એટલે ‘નવડાવી નાખ્યો’ એવો અર્થ કરતા હોય છે. અમારે ત્યાં મદારી આવે એને ઓસરીમાં જમાડવા પડે. જમ્યા પછી આવા લોકો વાતોએ વળગે. હું સાંભળું ને અચંબો પામું. શેરીમાં આપણને આંજી દેતાં અદભુત કામો કરતા માણસો કેવા આપણા જેવા સામાન્ય હોય છે! આપણને પણ એ કેમ ના આવડે ? હું એમને અમારા મોટા ચોક જેવા ઓટલા પર નવરાશના સમયમાં મને ખેલ શિખવાડવાનું કહું. એમાં નાની નાની ટ્રિક્સ શીખ્યો. જેવી કે હથેળી ઊંચી કરીને એના પર દીવાસળીને નચાવવી. સિક્કાને નચાવવા. છ વરસની ઉંમરે હું સ્કૂલમાં દાખલ થયો ત્યારે મારા ગોઠિયાઓને આવા આવા શીખેલા ખેલ બતાવીને એમને બાઘામંડળ કરી દેતો. અરે, માસ્તરો પણ મોંમાં આંગળાં નાંખી દેતા ને!’
‘તમારા ઘરમાં આવાં પરાક્રમ કરતા કે નહિ ?’
‘અરે હોય ?’ એમની આંખો અત્યારે પણ બોલતાં બોલતાં વિસ્ફારિત થઈ ગઈ : ‘મારો તે કંઈ દહાડો ઊઠ્યો હતો ! વડીલોને આ લેશમાત્ર ન ગમે. એક જાતનો તિરસ્કાર જ આવાં મદારીકર્મ પ્રત્યે. એટલે બન્યું શું કે બંગાળના જુદા જુદા જાદુગરોને હું મળતો રહ્યો. નવી નવી ટ્રિક્સ શીખતો ગયો. પણ ઘરમાં હરામ જો કોઈને ખબર પડી હોય તો. કોલકતાની એન્ગ્લો-ઈન્ડિયન ગુજરાતી સ્કૂલમાં મૅટ્રિકમાં હતો અને પરીક્ષા ટાણે મને ફોર્મ ન મળ્યું ત્યારે ઘરમાં કડાકો બોલી ગયો. કેમ ન મળ્યું ? તો કહે કે વરસમાં આખી બાવન દિવસની હાજરી પડી હતી. બાકીના દિવસોમાં ગાપચી મારી હતી. ગાપચી મારીને ક્યાં ગયો હતો ? જવાબમાં એમ તો થોડું કહી દેવાય કે જાદુગરોને ત્યાં જ પડ્યોપાથર્યો રહ્યો હતો ? પણ જૂઠું બોલું તો જોડા પડે. અંતે કહી જ દીધું. મારા પિતાશ્રી દુઃખીદુઃખી થઈ ગયા. વેપારીનો છોકરો થઈને આવા ધંધા કરે છે ? પોતે પાછા સ્કૂલની કમિટીના મેમ્બર, ધારે તો લાગવગથી ફોર્મ અપાવી શકે. ભણવામાં હું હોશિયાર પણ હતો. હેડમાસ્તરની મરજી હતી કે આના બાપા દબાણ કરે તો ફોર્મ આપી દેવું. પણ બાપા બીજી માટીના હતા. મને કહે કે લાગવગથી ફોર્મ નથી લેવું. તું બીજું વરસ કર. મેં કહ્યું કે મારી પાછળના છોકરા મારી ભેગા વર્ગમાં બેસે એ મારાથી સહન નહિ થાય. મને ઉઠાડી મૂકો અને દુકાને બેસાડો. ધંધો કરીશ. બાપા કહે કે ધંધે વળગતો હોય તો ના નથી. બાકી જાદુ ખાતર નિશાળ નહિ છોડવા દઉં. નિશાળ છોડવી હોય તો પહેલાં તું મારી સાથે ધંધા પર કે દુકાને સવારના આઠથી રાતના આઠ બેસીશ. અને જાદુ-ફાદુનું નામ નહિ લે.’
‘તમે તો બરાબરના ફસાયા.’ મેં કહ્યું.
‘ત્યારે ?’ ઊટે કઢ્યા ઢેકા, તો માણસે કર્યા કાઠા. દુકાનમાં સવારના આઠથી રાતના આઠ જાઉં. કાપડ કાપું, તાકા ચીરું, ઘરાક સાચવું અને ટકાનીય દિલચોરી ના કરું, પણ રાતના આઠ પછી હું શોધ્યો હાથ ન આવું. કોલકતાને ખૂણેખાંચરે રહેતા જાદુગરોનો સંગ. એ જ રંગ. તે છેક રાતના સાડા બાર-એક સુધી.’
‘પણ પછી ?’ મેં પૂછ્યું : ‘કંઈ ફલપ્રાપ્તિ ખરી ?’
‘હા વળી. મહેનત ક્યાં કદી અ-લેખે જાય છે ?’ એબોલ્યા : ‘પંદર વરસની ઉંમરે હું ‘ઑલ ઈન્ડિયા મૅજિક સોસાયટી’માં દાખલ થઈ ગયેલો. મેં એલાન કર્યું કે મારે એમાં લેક્ચર કરવું છે. મને મંજૂરી આપો. સભ્યો મારી સામે પોતાનું મૂછાળું મોં લઈને ખડખડ હસે. મારે તો મૂછાગમનને બે ત્રણ વરસની વાર. છાપ પાડી શકું નહિ, એટલે હાંસી કરે. સભ્યો પણ કેવા પાછા. ગોગિયા પાશા જેવા ધરખમ–પ્રચંડ. છતાં મને લેક્ચરની છૂટ આપી ને મેં લેક્ચર કર્યું. શું જાણો છો ? કહ્યું કે જાદુગરો શા માટે મોં વિકૃત કરીને અવાજને ખેંચી ખેંચીને, બરાડી બરાડીને પબ્લિક પાસે પેશ થાય છે ? મૂછોનાં થોભિયાં રાખીને નેણને ઘાટાં રાક્ષસ જેવાં કરવાની કોઈ જરૂર ખરી ? ભગવાને રૂપ આપ્યું હોય તો એને સંવારવું અને ન આપ્યું હોય તો જેવા છો એવા દેખાવું. બીજો મુદ્દો એ કે પ્રેક્ષકોને મૂરખ ન સમજવા. એમાંના ઘણા તો આપણને સૌને સામટા જથ્થાબંધ ખરીદી લે એવા પણ હોય, બુદ્ધિમાંય બત્રીસ ચાસણી ચડે એવા હોય. એમને મૂરખ ન સમજવા. આપણા માલિક સમજવા. ત્રીજો મુદ્દો એ કે મંત્ર-તંત્રની છાપ કે મેલી વિદ્યાની છાપ ઊભી કરવા લાલ આંખ કરીને કે દારૂ પીને સ્ટેજ પર ન આવવું. ડબલ મીનિંગવાળું ગંદુ ન બોલવું. બહેન-દીકરીઓ પણ ખેલ જોવા આવતી હોય એમનો મલાજો જાળવવો. આવું આવું બોલ્યો એટલે ઘણા ધંધાદારી જાદુગરો બૂમાબૂમ કરવા માંડ્યા ને મને બેસાડી દીધો. એમને એમ કે એક વાણિયાનો લબરમૂછિયો છોકરો આપણને મંતર ભણાવવા નીકળ્યો છે ! પણ ગોગિયા પાશા જેવા કેટલાક સમજદાર પણ હતા. એમનો મેં ચરણસ્પર્શ કર્યો.’
‘મોટાને માન આપવાનું આવું સાદું જાદુ પણ ઘણાં નથી જાણતાં.’ મેં કે. લાલને કહ્યું : ‘નહિતર એ જાદુમાં ભલભલા મોટાને વરસતો કરી દેવાની તાકાત છે.’
‘મોટાને તો હું પહેલો પગે લાગું.’ એ બોલ્યા :‘દુલા કાગ જેવા કવિ અમારે ત્યાં આવતા, ઊતરતા, એમની સેવાનો લાભ મળતો. બાલાભાઈ એટલે સ્વર્ગસ્થ જયભિખ્ખુ. મૂળ નામ તો બાલાભાઈ, પણ પોતાનું હુલામણું નામ ભીખાલાલ અને પત્નીનું નામ જયાબહેન પરથી જયભિખ્ખુ રાખેલું. મારા તો મોટાભાઈ જેવા વડીલ. એમના તરફથી સાહિત્યનો રંગ લાગેલો. અરે, મેં તો કોલકતામાં નાટકો પણ ડાયરેક્ટ કર્યા છે. ગીતો-બીતો સ્ટેજ પર ગાતો અને ચિત્રકામમાંય ચંચુપાત કર્યો છે. બગસરાના મારાં જૂનાં ઘરમાં હજુ પુષ્કળ ચિત્રો મારાં બનાવેલાં તે સચવાયાં છે. પણ આ જાદુના રંગમાં બધા જ રંગ સમાઈ ગયા.’
‘વેપારનો રંગ પણ ?’
‘વેપારનો રંગ થોડો મોડો ગયો, પણ ગયો ખરો. તમે પી.સી. સરકાર જાદુગરનું નામ તો સાંભળ્યું છે ને ?’ એમણે પૂછ્યું.
‘હા’ મેં કહ્યું :‘એમની કંઈ વાત છે ?’
‘એમની એટલે પી.સી સરકાર જાદુગરની વાતમાં મારા પૂરતી વાત હોય તો એટલી જ કે એમની શરૂઆતમાં એમને શો આપનાર હું હતો. મેં જ એક ગુજરાતી જણ ત્રંબકભાઇને સલાહ આપેલી કે ત્રંબકભાઈ, જો કમાવું હોય તો સરકારના જાદુના ખેલનો કોન્ટ્રાક્ટ રાખો. એમાં રૂપિયા રોકો. મારી વાત એમને 1949માં ગળે ઊતરી. આવી રીતે સરકારને પણ કોલકતામાં પ્રથમ રજૂ કરનાર એક ગુજરાતી હતો એમ કહેવાય. કોલકતાના ન્યૂ એમ્પાયર થિયેટરમાં શો નાખ્યો તો, આખું કોલકાતા ગાંડું થયું હતું. એ પછી 1951માં ત્રંબકભાઈ એમને મુંબઈ પણ લાવ્યા.અને ત્યાંય ટંકશાળ પાડી. મૂળે નોઆખલીથી આવેલો એક બંગાળીનો છોકરો સરકાર, આમ એક ગુજરાતી થકી ઘણું કમાયો. એણે કાર લીધી,અને પછી એ સિંગાપુર અને હૉંગકૉંગની સફરે નીકળ્યો.
‘તમારી સફર કેટલે પહોંચી હતી એની વાત કરો.’
મારો આ અધીરો સવાલ અને એનો ધીરી ધારણ ભરેલો જવાબ કે.લાલનો :
‘મારી તો શી વાત કરું ? દુકાન હતી, બલકે ગળે વળગેલી હતી અને જાદુ માટે વડીલોને સૂગ હતી. મારું મન પણ ત્રિભેટે હતું. નાટકમાંય જીવ જતો હતો. વારેવારે મુંબઈ ખરીદી કરવા જાઉં ત્યારે રાતે ભાંગવાડીમાં નાટક જોવા જાઉં. એમાંય છગન રોમિયાનો તો હું ભક્ત જ સમજો ને ! કૉમિક મને બહુ ગમે. કોલકતામાં શિવકુમાર જોષી સાથે દોસ્તી થયેલી અને એમનાં નાટકોમાં હું ભાગ લેતો. પણ બધું ઠીક ઠીક વખત ચાલ્યું. પણ અંતે જાદુનો જીવ જાદુમાં જ રહ્યો. 1951માં મેં મારો પોતાનો શો તૈયાર કર્યો. એમાં મારી પોતાની પ્રાઈવેટ ચીજો તૈયાર કરી. ‘થ્રી ઘોસ્ટ્સ ઓફ ચાઈના’, ‘ટાઈમ એન્ડ સ્પેસ’ એવી બધી મારી વાનગી. અગાઉ 1947માં એક વાર જ્યારે કોલકતામાં ‘ગુજરાતી ગુજરાત વાપસ ચલે જાઓ’ની પ્રાંતીયવાદી ઝુંબેશ ચાલી હતી ત્યારે મેં ફૂ-કેઈનની ‘ભારતીય સબ એક હૈ” નામની અલગ અલગ પ્રાંતનાં પાણીને એક બતાવતી આઈટમ તૈયાર કરીને પી. સી. સરકારને આપી હતી. આવી બધી વાનગી ભેગી કરીને ત્રણ કલાકનો શો બનાવ્યો હતો ! પણ ઘરના વડીલો કરવા દે તો ને ! મન મારીને બેઠો રહ્યો હ્તો.’
‘તમારા જમાનામાં તો છોકરો બાપ સામે બળવો કરતા થઈ ગયા હતા. તમે કેમ ન કર્યો ?’
‘મારા એ સંસ્કાર નહોતા. બાપુજીને પૂછ્યા સિવાય કોઈ કામ ન કરાય. એવી જ પરંપરા. અમારી જ્ઞાતિ જૈન ને મારા પિતાજી પાછા ટ્રસ્ટી હતા. જ્ઞાતિનું ભંડોળ ખાધમાં હતું. મેં એમને કહ્યું કે ખાધ કાઢવી હોય તો મારો શો ગોઠવો. રોક્સીમાં ગોઠવો. બાપા કહે કે ઘડીભર માન કે રાખીએ, તો પણ તારા ખેલની ટિકિટ લે કોણ ? સૌ એમ જ બોલે ને કે અરે, આ તો આપણો કાંતિયો, કપડાં ફાડે (વેતરે) છે એ ! એને જોવાની તે કાંઈ ટિકિટ દેવાતી હશે ? આપણે તારા નામનાં ઢોલ-ત્રાંસા વગડાવીને પછી નાક નથી કપાવવું ! આપણે વેપારીના દીકરા, મદારીના ખેલ નથી કરવા. બાપાએ આમ કહ્યું, ને તમે નહિ માનો, પણ અંદરના કોઈ ઉછાળને કારણે હું રડી પડ્યો. એમ થયું કે પગ નીચેથી જિંદગીની જાજમ ખેંચાઈ રહી છે. એ જશે તો હું ટકી શકીશ નહિ. મારાથી એટલે બાપાને તરત કહેવાઈ ગયું કે ટિકિટ કોઈ ન લે તો બાપુજી, તમે લો, તમે કહેજો કે મારા છોકરાને જોવા માટે હું ટિકિટ લઉં છું, તો બીજા કેમ ન લે ? કોઈ એવી ભીની ઘડી આવી ગઈ. બાપાને દયા આવી ગઈ. એમણે ટિકિટો સો સો રૂપિયાવાળી લીધી. એમણે લીધી એટલે બીજાઓએ પણ લીધી. ભવ્ય શો થયો. ગોગિયા પાશાને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. એ પણ આફરીન પોકારી ગયા. ઑડિયન્સમાં એક લક્ષ્મીચંદભાઈ કરીને જોવાવાળા પણ હતા. એમણે રંગૂનમાં પી.સી. સરકારના ધંધાદારી ખેલ જોયેલા. એમણે શો પત્યે આવીને મને કહ્યું કે અમને તો સરકાર જેવા ધંધાદારી કરતાં તમારા જેવા નવા છોકરાના ખેલમાં વધારે મઝા આવી. એ વાત હજુ ચાલતી હતી ત્યાં જ એક મારવાડી લફડ-ફફડ આવ્યો. મને કહે કે કૉન્ટ્રાક્ટ કરો મારી સાથે. મહાવીર જૈન વિદ્યાલય માટે પચાસ-હજારનું પચાસ-હજારનું ભંડોળ ભેગું કરવું છે. હું હા પાડું છું ત્યાં તો બાપાનું મોં લેવાઈ ગયું. એમને એમ કે ઠીક છે, એકાદ વાર આવાં ફિતૂર કરવાં તે. બાકી આમ જ જો છોકરો આ રવાડે ચડી જશે તો પછી ધંધો શું કરશે, ધૂળ ? બાપા મનમાં મૂંઝાયા કરે. ઘરે જઈને માંદા પડી ગયા. કારણની મને પહેલાં તો ખબર નહિ પણ પછી કુંડલાથી મારા મામાનો કાગળ આવ્યો કે તારા બાપ માંદા પડી ગયા એના મૂળમાં આમ વાત છે. જરા સમજ. મારા માટે આ બીજો આંચકો હતો. આકરું તો બહુ લાગ્યું, પણ છતાં મેં સોગંદ ખાધા કે જ્યાં સુધી બાપા રજા ના આપે ત્યાં સુધી હું એક પણ શો નહિ કરું. આવી રીતે મારું કિસ્મત તો તમે જુઓ કે હજારો માણસો પાસેથી ખુશીનો ખજાનો લૂંટનારને પોતાના પિતા તરફથી નાખુશી મળી. પણ છેવટે બહુ સમજાવટને અંતે તેમણે એટલી છૂટ આપી કે ફક્ત ચેરિટી શો કરવા. કમાણી માટે કાંઈ ન કરવું.’
‘પણ પેલા મારવાડીના શો તો ચેરિટી માટે જ હતા ને?’ મેં પૂછ્યું.
‘હા, એટલે જ વાંધો ન આવ્યો. બાપુજીએ કચવાતે મને છૂટ આપી અને આપતાં આપતાં કહ્યું. જો ભૂત-બૂત બોલાવવાના કે કાઢવાના, નચાવવાના પ્રયોગો કરીશ નહિ, નહિતર બૈરાં-છોકરાં તારા ખેલ સાત સારા હશે તોય જોવા નહિ આવે. એમની આજ્ઞા મેં માથે ચડાવીને ખેલની તૈયારી કરી. પણ પેલો મારવાડી જરા મૂંઝવણમાં હતો. મને જામતું નથી. નામ બદલાવો. જરા વટ પડે એવું નામ રાખો. પહેલાં તો મેં એની વાત હસી કાઢી, પણ પછી ધંધાકીય રીતે વિચાર કરતાં મારવાડી સાચો લાગ્યો. પણ નામ શું રાખવું ? અરે, આવા શૉ જાદુના શૉ બિઝનેસમાં તો નામ જ એવું હોવું જોઇએ કે જે ઉચ્ચારતાંવેત જ મનમાં વીજળીક અસર ઉભી કરે. એમાં કાંતિલાલ વોરા નામ તે ચાલતું હશે? એ તો બીજા કોઇ છગન-મગન-ગાંગજી-ભૂરા-ભામજી-રામજી જેવું ફિક્કું નામ. જુઓ. એ વખતે જાદુગરોના નામેય કેવા જાદુઇ હતાં ? પી સી સરકાર, ગોગીયા પાશા, ચક્રવર્તી અને એવાં બધાં. એમાં કાંતિલાલ તો સીટીઓ મારનારા છેલ્લી પાટલીના કોઇ મામૂલી પ્રેક્ષક જેવું લાગે. પણ ત્યાં તો એક એવો વિચાર ઝબક્યો કે મને મારું ‘કે.લાલ’ નામ જડી ગયું,
કઇ રીતે ? કોણે સૂઝાડ્યું આ અમર થઇ જનારું નામ ‘કે લાલ’?
(એની વાત આવતા હપ્તામાં)
———————————————————————————————
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com







કચ્છ -ભૂજના એક શોમાં ,” કે.લાલકી જય હો” એમ મેં સ્ટેજ પર આવી, બ્લેકબોર્ડ પર લખેલું, ,આંખે ડબલ મુશ્કેટાટ કાળા પટ્ટા બાંધેલી આંખો સાથે ., એમણે એના જવાબમાં, ” થેંક યુ ” એમ લખી બતાવ્યું. એ સીન સહજ યાદ આવી ગયો .આનંદની એક લહર રોમેરોમમાં પ્રસરી ગઈ .આભાર . રજનીભાઈ [આપણે નવનીતલાલ શાહ દ્વારા તમને ખાસ બોલાવી બીરેન કોઠારી સાથે સન્માનિત કરાયા ત્યારે ,તેમણે, ” આ મારા બહુ જૂના પત્ર-મિત્ર લક્ષ્મીકાંત ઠક્કર ” કહી ઓળખાણ કરાવેલી ] તમને તો ક્યાંથી યાદ રહે આટલા બધા લોકો, તમારા જેવા લોકપ્રિય લેખક-કલાકારને મળે,મળતા હોય એની ભીડ માં ? પણ એક સમયે તમારી કોલમ દીલથી માણી છે .
અભિનંદન .
આભાર
અત્યારે તો ભૂલાઇ ગયું છે. ક્ષમા કરશો.
પણ મારો આ ઇમેલ લે વ્હોત્સેપ્પ 95580 62711 પર જરૂર સંપર્ક સ્થાપિત કરશો
જી,
La Kant Thakkar સાહેબની વાતમાં થોડુ ઉમેરણ..
અમારી બેંકે 1965/1966 ની આસપાસ શ્રી કે.લાલ. નો શો ટાઉન હોલ અમદાવાદમાં રાખેલ ,ત્યારે આવાજ ખેલ દરમ્યાન મને સ્ટેજ પર જવાનો મોકો અને તે અગાઉ પણ એક વખત મળેલો, મેં તે વખતે પાટિયા પર લખ્યું હતું કે “મને કે.લાલના શોમાં જોઈએ એવી મઝા ના પડી,” તો જવાબમાં એમણે , ચોકથી મઝા અને પડીની વચ્ચેના “ના” પર ચોકડી મારી ,મને ફરીથી વાંચવા કહ્યું, અને મને હેરત પમાડી દીધો. અને ઈન્ટરવલ વખતે મને બોલાવી કહ્યું કે તમને મઝા ના પડી હોય તો તમારા પૈસા પાછા આપી દઈએ છીએ. જે મેં લેવાની ના પડી હતી. ( એવું લખવા પાછળ નું મારું કારણ એ હતું કે અઠવાડિયા અગાઉ મેં જોયેલા લગભગ તે ના તેજ પ્રયોગો રિપીટ થતા હતા!! સોરી)
અને અગાઉના પ્રયોગોમાં કોઈક ભાઈએ પાટિયા પર પૂંછડી વગરનું ગધેડું દોરેલું, જે એમણે આંખપર મુસ્કેટાઈટ પાટા બાંધીને પૂંછડી દોરીને સૌને ચકિત કરી દીધેલ.
.
અદભુત અને સ્ટ્રગલ વાળી સ્ટોરી. મઝા આવી ગાઈ. રજનીભાઈ તમારા શબ્દોએ પણ અનોખો રંગ ભર્યો, જેમ કે ‘મુછાગમન’. ખુબ ખુબ અભિનંદન. આવતા અઠવાડિયે ફરી મળીશું.
પ્રફુલ્લ ઘોરેચા
બહુ સરસ રજનીભાઈ મજા પડી ગઈ.વર્ષો પહેલાં દુબઈમાં તેમનો શો જોયો હતો હજુ યાદ છે. એમાં તેમની એક આઈટમ Water of India
વારંવાર આવતી અને એક જગમાંથી પાણી કાઢતાં જગ રિતસર ખાલી થઇ જાય અને થોડી અઈટમ પછી ફરીને એજ જગ જે પબ્લીકની સામે જ પડેલ હોય તેમાંથી એજ રીતે Water of India બોલીને પાણી કાઢતા.કદાચ પચીસથી વધુ વર્ષો થઇ ગયા હશે.પણ શો જોયાનું યાદ છે.આવી સરસ સ્ટોરી કહીને જૂની યાદો તાજી કરાવવા બદલ ખુબ ખુબ આભાર.
Rochak vaato chhe game tevi.
બહુ જ સરસ ફ્લેશ બેક. એમની ખેલ ચાર પાંચ વખત જોયેલા છે.
—————–
ત્રણે લેખ પતે પછી, એની pdf ફાઈલ બનાવી અહીં મુકી દઈશ –
https://sureshbjani.wordpress.com/2006/08/21/k_lal/
Shri રાજનીકુમારભાઈ
કે.લાલ ના પ્રયોગો કદાચ સૌથી વધારે વખત મેઁ જોયા છે – સમાજની જુદી જુદી વિભૂતિઓ વિષે આપ ના લખાણો તાત્કાલિક વાંચ્યા સિવાય ચેન ના પડે – સામાન્ય લેખ – નવલકથા કરતાં આવા લેખો જાણકારી ઉપરાંત જીવનને પ્રોત્સાહન આપનારા હોય છે – આવનારા ભાગ ની આતુરતાથી રાહ જોઈશું – આભાર –
નવીન ત્રિવેદી
What a nice article…
From my childhood I m a fan of K.Lal
Papa is just great Show man in the world. He is most perfect person, well Human being, loves a lot.. Whatever I m doing learn from him His blessings always with us. I really miss him