





ભગવાન થાવરાણી
અગાઉ ઉલ્લેખ્યું તેમ, ભગવત રાવત જેમ સામાન્ય માણસના કવિ છે તેમ એ માનવીય સંબંધોના પણ કવિ છે. ડગલે ને પગલે એ સંબંધોનો હ્રાસ થતો જોઇને જેમ એમનું હૈયું કોચવાય છે, એ જ રીતે ક્યાંક ક્યાંક એ સંબંધોને પનપતા, ઊછરતા અને સંવર્ધન પામતા જોઈને માનવીય મૂલ્યોમાં એમની આસ્થા પુન: સ્થાપિત થાય છે અને એ ઘટનાઓ એમની કવિતાઓમાં મ્હોરી ઊઠે છે.
જ્યાં સુધી સહૃદય માણસને એમ લાગ્યા કરે કે હજુ સારા માણસો અને સારપનો તોટો નથી ત્યાં સુધી આ જગત જીવવાને લાયક છે. જગતની કદરૂપી અને કુત્સિત બાબતો ભલે આપણને સમૂળગા ઝકઝોરી નાખે પરંતુ સદ્ભાગ્યે, સારપનો હાથ હમેશાં ઉપર હતો અને રહેશે એ આશાવાદી એકાલાપ સાથે ભગવત રાવતની એક વધુ કવિતા:
प्याज़ की एक गाँठ
चार रुपये किलो प्याज़
आवाज़ लगाई
बशीरभाई ने
मैं चौंका
वे हँसकर बोले
ले जाइये साहब
हफ़्ते भर बाद
यही भाव याद आएगा
अल्लाह जाने
यह सिलसिला
कहाँ तक जाएगा
जेब में हाथ डालते हुए
मैंने कहा
आधा किलो
सुन कर बशीरभाई कुछ बोले नहीं
और एक की जगह
आधा किलो तौलते हुए मेरे लिए
ऐसा लगा
जैसे कुछ मुश्किल में पड़ गए
उनकी तराज़ू का
भारी वाला पलड़ा
हमेशा की तुलना में
आज कुछ कम नीचे झुका
प्याज़ की एक गाँठ
और उतारें या न उतारें
इस सोच में
उनका हाथ
ग्राहक से रिश्ता तय करता – सा
एक क्षण को
हवा में रुका
और आख़िरकार
बशीरभाई जीत गए
मैं रास्ते भर
झोले में डाली
प्याज़ की उस गाँठ को
आँखों में लिए – लिए
घर लौटा …
– भगवत रावत
ગુજરાતી ભાવાનુવાદ –
ડૂંગળીનો એક દડો
ડૂંગળી ચારની કિલો
બશીરભાઈનો અવાજ સંભળાયો
હું ચમક્યો
એમણે હસીને કહ્યું
લઈ જાઓ સાહેબ
અઠવાડિયા પછી
આ જ ભાવ યાદ કરશો
અલ્લાહ જાણે
આ મોંઘવારી ક્યાં જઈ અટકશે
ખિસ્સું ફંફોસતાં
મેં કહ્યું
અડધો કિલો
સાંભળીને બશીરભાઈ કશું બોલ્યા નહીં
અને એકના બદલે
અડધો કિલો મારા માટે જોખતાં
એવું લાગ્યું
જાણે કોઈ વિમાસણમાં પડી ગયા
એમના ત્રાજવાનું
નમેલું પલ્લું
કાયમ કરતાં
થોડુંક ઓછું નમ્યું
ડૂંગળીનો એક દડો
હજુ કાઢી લે કે નહીં
એ વિચારમાં
એમનો હાથ
ગ્રાહક સાથે નાતો નક્કી કરતો હોય તેમ
ક્ષણેક
હવામાં થંભ્યો
અને છેવટે
બશીરભાઈ જીતી ગયા
હું આખા રસ્તે
ઝોળીમાં નાખેલ
એ ડૂંગળીના દડાને
આંખોથી પસવારતો
ઘરે પાછો ફર્યો …
નગર જીવનની એક અજીબ વિડંબના છે. અહીં એક જ નગરમાં રહેતા હોવા છતાં મિત્રો, સ્વજનોને આપણે મહિનાઓ સુધી નથી મળતા. એ ‘નહીં મળી શકવા’નાં કારણો નથી ચર્ચવાં. ટેકનોલોજીના વિકાસ પછી કદાચ મળવાની જરૂર પણ નથી સમજતા. હજી હમણાં સુધી વારતહેવારે મળવાની પ્રથા પણ સંપર્ક-ક્રાંતિના તેજીલા તોખારે ઝૂંટવી લીધી છે. શહેરમાં અકસર આપણી સાથે એવું થાય કે :
કંઇં વરસ વીતી ગયાં પણ ના મળાયું એમને
સોચતો‘તો જેમને ત્યાં આ રવિવારે જઈશ
આથી ઊલટું અને આશ્ચર્યજનક એ કે નગરમાં રહેતા હોવા છતાં કેટલાક લોકોને આપણે રોજ કે એકાંતરે કે અઠવાડિયે કે મહિને અચૂક મળીએ છીએ. આપણો શાકવાળો, દૂધવાળો, કરિયાણાવાળો, દવાવાળો, વાળંદ, સોસાયટીનો ચોકીદાર, આપણા બાળકની બસનો ડ્રાઇવર કે સ્કૂલનો ગેટમૅન! આ બધા લોકોની સાથે નાની મોટી ગુફતેગુ પણ નિયમિતપણે થતી રહે છે અને એ નાતે ક્યારેક ઔપચારિકતામાં નાનકડી અનૌપચારિકતાઓ પણ પ્રવેશી આવે છે.
અહીં પણ કવિનો એક કાયમી શાકવાળો છે. કાયમી છે એટલે એમની સાથે નામ દઈને બોલવાનો વ્યવહાર છે. ડૂંગળીના ભાવ રોવડાવે એ ભારતીય પ્રજાજનો માટે નવાઈની વાત નથી અને અહીં એ ભાવ અનેકગણા થઈને છેક ચાર રૂપિયે કિલો સુધી પહોંચ્યા છે (એ જમાનામાં ડૂંગળીનો સરેરાશ ભાવ માંડપચાસ પૈસા હશે!). કહો કે, થોડાક સમય પહેલાં એંસી રૂપિયે પહોંચ્યા એવું કંઈક. વિટંબણા એકસરખી છે. કવિ થોડાક દિવસના અંતરાલ પછી પોતાની કાયમી શાક માર્કેટના કાયમી શાકવાળાના ગલ્લા આગળથી નીકળે છે અને ડૂંગળીના ભાવ સાંભળી ચમકે છે.
યાદ રહે, અહીં ખરીદનાર અને વેચનાર, બન્નેની હાલત સરખી છે. બન્ને મધ્યમવર્ગીય છે. મોંઘવારીના ખપ્પરમાં બન્ને જુદી જુદી રીતે ભીંસાય છે. એક પીડિત અને બીજો પીડક હોય એવું હરગીઝ નથી. બન્ને પરેશાન છે અને ડૂંગળીના ભાવ વધ્યા એમાં બશીરભાઈનો કોઈ વાંક નથી. બશીરભાઈ આગાહી કરે છે કે આવતીકાલે આ ચાર રૂપિયે કિલોનો ભાવ તમને સસ્તો લાગે તો નવાઈ ન પામતા! એ અલ્લાહને સંબોધીને જાણે કવિ પ્રત્યે અને જાત પ્રત્યે દિલસોજી પણ વ્યક્ત કરે છે.
કવિ ખિસ્સામાં હાથ નાખે છે કારણકે એમના ખિસ્સાની મર્યાદાઓ છે અને એ મર્યાદાઓ પોતે સુપેરે જાણે છે. હમેશાં એક કિલો ડૂંગળી લેતા પણ આ વખતે કચવાતા મને અડધા કિલાનું જ કહે છે બશીરભાઈને.
બશીરભાઈ પણ બધું સમજે છે, પણ લાચાર છે.
અહીં સુધી સમગ્ર વાત માત્ર પરિસ્થિતિઓનું બયાન હતી. કવિતા હવે આવે છે. અડધો કિલો ડૂંગળી જોખતાં એ કોઈક અસમંજસમાં પડી ગયા. એમના મનમાં ઊભી થયેલી સમસ્યા એ કે કાયમના આ ઘરાકને જે માત્રામાં નમતું જોખીને આપતા એ જ માપદંડ આ મોંઘવારીના જમાનામાં – વિશેષત: ડૂંગળીના સંદર્ભે – હજુ પણ જાળવે ? એક બાજુ, જેના ભાવ આસમાને પહોંચ્યા છે (અને સંભવત: હજુ વધવાના છે) એવી ચાર રૂપિયે કિલોવાળી ડૂંગળી છે તો સામે પક્ષે જેમની સાથે વર્ષોથી ભરોસાનો સેતુ સ્થપાયો છે એ ગ્રાહક છે. જાણે આ પણ ત્રાજવાનાં બે પલ્લાં છે.
ડૂંગળીવાળું પલ્લું રાબેતા મુજબ ઝૂકતું એ કરતાં થોડુંક ઓછું નમ્યું હોય એવું કવિને લાગ્યું. બીજા શબ્દોમાં, વર્ષોના વિશ્વાસમાં તિરાડો પડવાની શરૂઆત થઈ. ડૂંગળીનો એકાદ દડો હજી પલ્લામાંથી ઉતારી લેવો કે કેમ એ દ્વિધામાં બશીરભાઈનો હાથ ઘડીક મુંઝાઈને અટકી ગયો. એ કશમકશ વસ્તુત: એમના હૃદય અને હાથ વચ્ચે હતી એવી જ વ્યવહાર અને સંબંધો વચ્ચે પણ હતી. કટોકટીની એ ક્ષણો પસાર થઈ ગઈ….અને અંતે બશીરભાઈ અર્થાત્ બશીરભાઈમાં રહેલો માણસ જીતી ગયો! કહો કે, માનવતા જીતી ગઈ ! હજુ સરળ રીતે કહીએ તો બશીરભાઈએ ડૂંગળીનો એ દડો, સોંઘવારીના દિવસોમાં જેમ રહેવા દેતા હતા તેમ જ પલ્લામાં રહેવા દીધો.
કવિ પણ બશીરભાઈની જીતથી રાજી થયા કારણકે એ જીત બશીરભાઈની એકલાની નહોતી. કવિના મનમાં ઊભો થવા માંડેલો અવિશ્વાસ પણ એક ઝાટકે નિર્મૂળ થયો હતો! કદાચ એમણે એ ડૂંગળીની ગાંઠ વહેવારે ઉપાડીને પોતાના ટોપલામાં પાછી મૂકી હોત તો પણ કવિ નારાજ ન થયા હોત. એમણે એમ વિચાર્યું હોત કે મારી જેમ જ બશીરભાઈને પણ પેટ છે ને!
અને પરમ કવિતા એ – કે ઘેર પાછા ફરતાં, માનવતા અને માનવીય સંબંધોના વિજયમાં નિમિત બનનાર એ ડૂંગળીના દડાને આખે રસ્તે કવિ આંખની ભીનાશથી પસવારતા ઘરે પહોંચ્યા!
સંબંધોનું સિંચન અને સંવર્ધન કોઈ મોંઘેરી લેવડ-દેવડથી નહીં, આવી નાની-નાની અને પ્રથમ દૃષ્ટિએ ક્ષુલ્લક લાગતી ઘટનાઓથી થાય છે.
કેવળ દવાથી રોગ તમારો નહીં મટે
સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
बहुत खूब, सर ।
धन्यवाद सत्यपाल जी!
Nearer is dearer. Conveys human relation as also reality of life and kashmakash of keeping balance between . Since you have made it more simple i have started enjoying this one also ( on poem ).
I humbly believe that every sensitive mind knows and understands the language of poetry. The only condition is that the language has to be the one he uses in his day to day life, and bhagwat jee is a master of that art ! Thanks for reading !
A wonderful narration of mundane everyday event transformed and highlighted by hinting at human follies.
I wish the poet had dropped this line- અને છેવટે બશીરભાઈ જીતી ગયા –
I believe doing this, it avoids giving away the element of surprise and it adds more drama and makes the last stanza much effective and it has better poetic ending.
The reason for making it so transparent is perhaps that bhagwat wants that it should be understood without hindrance by those for whom it is written!
I believe, it makes this – otherwise wonderful narrative – poetically, rather weaker. In contemporary western poetry, less is more. I readily confess, my understanding of the Hindi poetry is quite rudimentary.
વર્ષોના વિશ્વાસમાં તિરાડો પડવાની શરૂઆત થઈ.
એકદમ સાચી વાત. નાની નાની વાતો બહુ આડી આવતી હોય છે.
धन्यवाद सुरेश भाई!
હૃદયસ્પર્શી કશ્મકશ …..કવિ યાને માણસ યાને બશીરભાઈ જીતી જાય છે….સુખદ છે…
કવિ યાને બશીરભાઈને સલામ…
…….અને એટલે જ આપણે જીવીએ છીએ
…..આભાર થાવરાણીસાહેબ
હાર્દિક ધન્યવાદ ડોક્ટર સાહેબ !