





– રજનીકુમાર પંડ્યા
“રાષ્ટ્રપતિ પં. જવાહરલાલ નહેરુ તા. ૧૩મીથી ગુજરાતના પ્રવાસે પધારવાના હોવાથી તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શહેર સમિતિ તરફથી કરવામાં આવી છે.”
(૧૯૩૭ના ઓગસ્ટના એક સાપ્તાહિકમાં પ્રગટ થયેલા સમાચારોને અહીં ઝળકાવ્યાનો હેતુ એટલો જ કે તવારિખની નોંધ રાખનારા વાચકો તેમની પાસેની ભારતના રાષ્ટ્રપતિઓની યાદી તપાસી લે. એમાં રાષ્ટ્રપતિ પં. જવાહરલાલ નહેરુનું નામ ક્યાંય છે?)
“અલ્હાબાદ તા. ૭, કુ. ઈન્દિરા નહેરુ એમના પિતા પં. નહેરુ સાથે આજે સાંજે વર્ધા ગયા છે. મહાત્માજીના આશીર્વાદ મેળવીને મુંબઈ જશે. જ્યાંથી તેઓ ઓક્સફોર્ડની સમવીલે કોલેજમાં જોડાવા તા. ૧૧મી એ ઈંગ્લેન્ડ ઉપડશે. પોતાની પુત્રીને વિદાય આપ્યા પછી પંડિતજી તા. ૧૨મીથી એ ગુજરાતના પ્રવાસે ઉપડશે. તેઓ સાંજની ફાસ્ટમાં વડોદરા પધારશે.”
(વિમાન અને હેલીકોપ્ટર વેગેથી આજના નેતાઓના ગુજરાતના આગમનના સમાચારો વાંચ્યા પછી આ સમાચારો કેવા મનોરંજક લાગે છે ?)
**** ***** ****
“મુંબઈ તા. ૨૧, શ્રી. ઝવેરચંદ મેઘાણીએ રચેલા ગીતોની રેકોર્ડો ઉતારી તે વેચવા માટે મુંબઈની ગ્રામોફોન કું. લી. તેમ જ ટ્વીન રેકર્ડ કું. લી. સામે શ્રી. મેઘાણીએ હાઈકોર્ટમાં માંડેલ દાવાનું આજ સમાધાન થયું છે. સમાધાનની એક શરત એવી છે કે સાત ગીતોની રેકર્ડની તમામ પ્રતોનો કંપની નાશ કરશે. માત્ર સ્વરચિત ગીતો ઉપર જ નહી, પણ ચોક્કસ સ્વરૂપમાં સંપાદન કરેલા લોકગીતો પર પણ સંપાદકનો અધિકાર કાયદાનું પૂર્ણ રક્ષણ પામે છે. અને યાદ દેવડાવે છે કે કોપીરાઈટનો કાયદો ઘણો વિશાળ છે એની પ્રત્યેક કલાકારે અને સાહિત્યકારે ખાત્રી રાખવાની છે.”
**** **** ****
શ્રી. કનૈયાલાલ મુનશી એક નિવેદનમાં જણાવે છે કે તેઓ સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ માટેની નવી ચૂંટણીમાં ઊભા રહેવા માંગતા નથી. બાર વર્ષ એ પદ ભોગવ્યા પછી હવે કોઈ નવો માણસ એ પદ ભોગવે એવી એમની ઈચ્છા છે.(નીચે ટિપ્પણી છે કે માથે માછલાં ધોવાયા પછી જાહેરમાં ગંગાસ્નાન કરે એનો આ નમૂનો કે ?)
**** **** ****
આપણા આજના ફિલ્મ સ્ટારોની ફીના કરોડોના આંકડા વાંચ્યા પછી એંસી વરસ પહેલાના આ સમાચારો જોઈ જવા જરૂરી છે.
“સાઈગલને ન્યુ થિયેટર્સ તરફથી રૂ ૧૨૦૦, જમુનાને રૂ ૪૦૦ મળે છે. બોમ્બે ટોકીઝવાળા અશોકકુમાર ગાંગુલીને અને દેવિકા રાણીને અનુક્રમે રૂ|. ૪૬૦/- અને ૬૫૦/- મળે છે. મીસ સુલોચનાને ૪૫૦૦/-, શાંતા આપ્ટેને ૧૪૦૦/-, ચારલીને ૫૫૦/-, જિલ્લુને ૧૬૦૦/- અને મોતીલાલને સાગર તરફથી રૂ. ૧૬૦૦/- મળે છે. જોન કાવસ અને મિસ નાદિયાને અનુક્રમે ૩૦૦/- અને ૫૦૦/- આપવામાં આવે છે. કોઈ હિંદી નટ(નટી નહીં)નો પગાર ૨૦૦૦ થી વધુ નથી.
***** **** *****
“નવીન પિક્ચર્સ નામની નવી ફિલ્મ કંપનીએ ‘કાતીલ કાઠીયાણી’ નામક નવી ફિલ્મચિત્રનું મૂહૂર્ત કરી દીધું છે. જ્યારે ‘તોફાની તરૂણી’ રિલીઝ માટે તૈયાર છે.’
***** **** *****
“પ્રભાત કંપનીના આગામી બોલપટ ‘ભગવાન બુદ્ધ’માં ભૂમિકા ભજવવા માટે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનના સ્ટાફ સહિત આવવા કબૂલ્યું છે. પણ આ સમાચારનો કંપનીએ ભારપૂર્વક ઈન્કાર કર્યો છે. ભગવાન બુદ્ધના પાત્ર માટે પ્રભાત (ટાગોર કરતાં) વધુ સારી શોધખોળ કરી રહી છે.” (ટાગોર પણ નાપાસ !)
***** **** *****
“બોમ્બે બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરમાં મિસીસ એફ.એસ. તાલ્યારખાન અને મિસીસ તારાબાઈ માણેકલાલ પ્રેમચંદ નામનાં બે સ્ત્રીસભ્યો નિમાયાંના સમાચાર છે. એ પણ સમાચાર છે કે ‘માદામ વોલેસ્કા’ના સેટ ઉપર અભિનેત્રી ગ્રેટા ગોર્બો એક આખી બતક ખાઈ ગઈ હતી. ગોર્બોને બતક ખાતી બતાવનારો સીન બરોબર ઉતરી રહ્યા પછી ડાયરેક્ટરે ‘કટ’ કહ્યું તો પણ ગોર્બોએ બતક ખાવાનું ચાલુ રાખ્યું હતું.”
***** **** *****
થોડી ફિલ્મોનાં નામો: ‘હરીકેન હંસા’, ‘ફોરવર્ડ માર્ચ’, ‘લોકચિઠ્ઠી’, ‘એશીયાઈ સિતારા’, ‘વીરબાળા’ યાને ‘મી-૪૨૦’, ‘નારીરાજ્ય’, યાને ‘મીસ કલકત્તા’, ‘ધૂમકેતુ’.
ફિલ્મી કલાકારોનાં કેટલાક નામો અને ઉપનામો : માસ્ટર બચ્ચા, દારા મુંશી ખંજર, કુમારી જેનાબાઈ, ઘોડો અબલખ, સંસ્કારમૂર્તિ પન્ના,લલ્લુભાઈ, માસ્ટર અધમ, યુસુફ એફ્રેન્દી.
***** **** *****
“ઈરાનમાં સ્ત્રીઓને પડદામાં રહેવાની મનાઈ હોવાથી સિનેમા, દુકાનો વગેરે સ્થળોએ પડદાનશીન સ્ત્રીઓ જઈ શકતી નથી. તેમ જે અમલદારને ત્યાં પડદો પળાતો હોય તો તેની નોકરી જાય છે.”
***** **** *****
“મારા મા-બાપ નાની વયમાં ગુજરી ગયા છે,. અને મારી દરકાર રાખનાર કોઈ નથી. એ સંજોગોમાં હું મુસ્લિમ બની છું.” બાઈ શકરી નામની ત્રેવીસ વરસની એક હિંદુ કુમારિકાએ ઉપરનું નિવેદન ડિવીઝનલ માજિસ્ટ્રેટની અદાલતમાં નોંધાવી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે.”
***** **** *****
વલસાડના મોઢ બ્રાહ્મણ યુવકશ્રી ગણપતિ શંકર ભટ્ટ જેઓ ભીલ પ્રજાની સુંદર સેવા કરી રહ્યા છે. તેમણે એક સુશિક્ષિત ભીલ કુમારિકા સાથે લગ્ન કરતાં અહીના તેમના જ્ઞાતિબંધુઓમાં ભારે ખળભળાટ મચ્યો છે.
***** **** *****
મહેસાણા તાલુકાના વાલમ ગામના એક લેઉવા પાટીદારે તેમના ચૌદ માસના છોકરાને નવ માસની એક કન્યા સાથે પરણાવ્યો છે.
***** **** *****
સિદ્ધપુર તા.૧૪, અત્રેના એક વયોવૃદ્ધ બ્રાહ્મણ ગૃહસ્થે પાંચમી વખત લગ્ન કર્યાના સમાચારથી સિદ્ધપુર બ્રાહ્મણ જ્ઞાતિમાં ખળભળાટ થઈ રહ્યો છે.
***** **** *****
કરાંચી તા. ૧૬મી જુલાઈ, પોતાની પાડોશમાં રહેતી એક પરણેલી સ્ત્રીના પ્રેમમાં પડીને તેણીને પ્રણયપત્રો લખવા માટે મીરપુરના એક પોલીસ કોન્સ્ટેબલને નોકરીમાંથી રૂખસદ અપાઈ છે.
***** **** *****
‘સમાજ અને પિતાના ડરે માધવપુરામાં એક પ્રેમમાં પડેલા જુવાન રાજપૂતે શરીર પર ગ્યાસતેલ છાંટીને બળી મરવાનો પ્રયાસ કર્યો હતો.
***** **** *****
બાવળાની વણિક આત્મારામ ત્રિભોવનની યુવાન સ્ત્રી ચંચળે પોલીસ સમક્ષ નિવેદન કર્યુ છે કે ગામના એક જેઠા જીવરાજ સાથે મારે સંબંધ હતો. જે મારા પતિ જાણે છે મારા પર તેની ચિઠ્ઠીઓ આવતી તે પણ જાણે છે. છતાં પણ અસ્ત્રાથી મારા પર હુમલો કર્યો છે.
***** **** *****
અમદાવાદમાં ખાદીની ફેરી કરતા દરિયાપુર નાની સોલપરીમાં રહેતા જૈન રતિલાલ કેશવલાલે પોતાના મકાનમાં રહેતો આત્મારામ હરિશંકર રૂ|. ૩૫૫/-ના દાગીના ઉઠાવી ગયો છે. તેવી ફરિયાદ મૂકી છે. પોલીસ તપાસમાં જણાયું કે દાગીનાની ચોરીમાં રતીલાલની ખુદની પત્ની મણિનો પણ હાથ હતો. બાઈ મણિની ધરપકડ થઈ છે.
***** **** *****
સારંગપુર દોલતખાનામાં કાનજી રાણા તેની પત્ની અને ભાણેજ સાથે રહેતો હતો. કાનજીની પત્ની અને કાનજીના ભાણેજ મોહન બંને વચ્ચે ખરાબ સંબંધ હોવાથી બંને એ મળીને તા. ૧૯-૪-૩૬ના રોજ કાનજીના ગળામાં અસ્ત્રાના ઘા મારીને તેનું ખૂન કરીને લાશને ઓરડીની અંદર દાટી દીધી હતી.
***** **** *****
વડોદરામાં મદનઝાંપા રોડ ઉપરના દુકાનવાળા રમણલાલ હિંમતલાલની દુકાન કહે છે કે રાઈ નામની યુવતી દાણા ખરીદવા આવેલી તેને જોઈને એની દાનત બગડતાં કહે છે કે એ વેપારીએ યુવતીને ‘અંદર આવ,માલના નમૂના બતાવું,’ કહીને દુકાનના અંદરના ભાગે બોલાવીને એકાંતમાં તેની લાજ લેવાની કોશિષ કર્યાથી યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
***** **** *****
નાંદોદ તાલુકાના ભદાય ગામમા પટેલ શંકર કરસન ઉંમર વર્ષ ૨૫નું તેની બૈરીએ કોઈ ઝેરી પદાર્થ આપવાથી મરણ થયાની વિગતો બહાર આવી છે. સુરત કોર્ટની લાયબ્રેરી હોલમાં એક યુવતીએ એક વકીલને ‘કેમ! શું વિચાર છે?મગજમાં બહુ પાવર ભરાયો છે કે શું ? જોવું છે ? આજે તો જા, જવા દઉં છું. આટલેથી’ કહીને તેને ખખડાવી નાખ્યો હતો. આ યુવતી મુંબઈના એક જાણીતા સોલીસીટરની પુત્રી છે. યુવતીને વકીલે પરણવાનું કહ્યા બાદ ના પાડતાં આ બનાવ બન્યાનું કહેવાય છે.”
**** **** ****
“સૂરત મ્યુ.ની સ્કૂલ બોર્ડની શિક્ષિકાઓને માસિક (માસિક ધર્મ)ની માંદગીની રજા ન આપવાનો જે અખતરો ચાલુ કર્યો છે તે સામે સુરત વૈદ્ય સભા અને સુરતના ડોક્ટરોએ વિરોધ જાહેર કર્યો છે.
**** **** ****
“વડોદરા રાજ્યના કેળવણી ખાતાએ હવે નવું એક ધોરણ કર્યાનું જાહેર થયું છે કે નિશાળોમાં ખોડખાંપણ વગરના અને પ્રભાવશાળી શિક્ષકો જ નીમવા.
***** **** *****
‘પડછાયા’ના તંત્રી રસિકલાલ સામે ‘બાઈ કાશી અને મી.તડાક છીંકણીના ગોરખધંધા’ના સમાચારો છાપવા બદલ બદનક્ષીનો કેસ થયો છે.
***** **** *****
વિઠ્ઠલદાસ ગોકળદાસ નામના ઉચ્ચ કોમના યુવકે બેકારીથી મૂંઝાઈને પાલડી રોડ ઉપર ધસમસતી મોટરો નીચે કચડાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. “મારી કથની વિશે મને શું પૂછો છો ? એના કરતાં ઈશ્વરને પૂછો.” આવા કરૂણ ઉદ્દગાર એણે પોલીસ અમલદાર સમક્ષ ઉચ્ચાર્યા હતા.
***** **** *****
૧૯૩૭ના જુલાઈ અંકમાં લખ્યું છે. ‘છ વર્ષ પછી એટલે કે ૧૯૪૩માં દુનિયાનો પ્રલય વિનાશ થશે.’
***** **** *****
જાતીય વિજ્ઞાન વિષે ‘વરવધુ’ નામની શ્રી મહેબુબ બી.એ. ઓનર્સની લખેલી સળંગ લેખમાળા છે. એમાં વચ્ચે આક્રોશમય ઉપદેશ છે. જેમ કે સગર્ભા સ્ત્રી સાથેના પતિના સમાગમની મનાઈ ફરમાવતાં તેઓ લખે છે: સગર્ભા સાથેના સંભોગનો વિચાર ન કરવો એ જ ડહાપણ ભરેલું છે. છતાં પણ આંધળાની માફક વર્તન કરશો તો તે પહેલા બીજી કોઈ કન્યા શોધી રાખજો. કદાચ તમને તરત જ બીજા લગ્નની જરૂર પડશે. હે મારા પરમેશ્વર ! આવા સ્વાર્થીઓથી બચાવો !”
***** **** *****
એ અંકોમા નિરોધની માફક ડ્યુરેસ નામના ફ્રેંચ લેધરના બે ઘરાના ત્રણ નંગના બાર આનાની કિંમતની જાહેર ખબર છે.
***** **** *****
બહુ લગ્ન, ઉચાપત બેકારી, છેતરપીંડી, આગ, ખોટી આગાહીઓ, લૂંટ, ચોરી, ખૂન, ગેસથી મૃત્યુધડાકો, નેતાની મોટર પર પત્થરમારો, ધર્માન્તર, રાજ્યખટપટ, વ્યભિચાર, દારૂ અને જુગારના સમાચારો છે. ફિલ્મોની જાહેરખબરોમાં મારફાડ અને સેક્સ ઉપર અપાતું બેહદ જોર છે. આ રીતે પોણી સદી પરનો આયનો પણ આજનું જ પ્રતિબિંબ પાડે છે.
( નોંધ: ‘વિરામ’ સાપ્તાહિકના ૧૯૩૭ના અંકોમાંથી મેં આ લેખ તૈયાર કર્યો છે-લેખક)
*** *** ***
લેખકસંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
I enjoyed this nostalgia. These are is funny O,Man, real Funn…y paper cuttings. I have lived in Vadodara and read such mind-blowing ‘ ‘અંદર આવ,માલના નમૂના બતાવું,’ કહીને દુકાનના અંદરના ભાગે બોલાવીને …’ incidents. This is not fiction.
The real spectrum of society. RK, investigate more of political scandals of the thirties, that of Whites and Indians.- Rp
GAI KAL ANE AAJ NO DIFFERENT.KAGDA BADHE KALA J HOY
Very funny but interesting news!
જમાના જૂની એ જ રસમો!
એટલે જ ગુજરાતી છાપાં કે કોઈ પણ છાપાં વાંચવાનું બંધ છે !
આ બધું જમાના જુનું ચાલ્યું આવે છે.સીને સ્ટારના પગારના આંકડા વાંચીને આજે એ લોકો જીવિત હોય તો એમને પણ હસવું આવે! આજે કદાચ મીનીટના તેથી વધારે સિનેમા સ્ટાર કમાતા હશે! દેવિકારાણી બોમ્બે ટોકીઝના માલિકના પત્ની હતા એટલે તેનો પગાર અશોકકુમાર કરતાં વધારે હોઈ શકે.મને યાદ છે ત્યાંસુધી નજમલ હુશેન કરીને તે જમાનામાં બોમ્બે ટોકીઝમાં એકકલાકાર હતા તેનો પગાર અશોકકુમા કરતા વધારે હતો.એમ કહી શકાય કે આખો યુગ બદલાઈ ગયો છે!
Respected Shri Rajnikuimarbhai = thank you for taking us to the years- the years in which we were not born – enjoyed each and every line – what a straneous job you are doing – with all best wishes – navin trivedi