





પ્રાસ્તવિક
આજથી વેબગુર્જરી એક નવી શ્રેણી શરૂ કરે છે. આમ જુઓ તો વેબગુર્જરીના પટલ પર આ નવો રંગ છે. આજ સુધી વેબગુર્જરી પર (પાકિસ્તાની વાર્તાઓના અપવાદ સિવાય) માત્ર ગુજરાતી સાહિત્યની વાનગીઓ પ્રકાશિત થઈ છે, દેશની બીજી ભાષાઓના પરિચયની તક અમે બહુ ઓછી ઉપલબ્ધ કરાવી શક્યા છીએ, તેમાં પણ કાવ્ય સાહિત્યથી તો આપણે તદ્દન અજાણ રહ્યા છીએ. આજે આ ખોટ પૂરી થાય છે અને અમે હિન્દી કાવ્યજગતના એક શીર્ષસ્થ કવિની રચનાઓના રસાસ્વાદની આ શ્રેણી શરૂ કરીએ છીએ. આ લેખમાળા દર મહિનાના પહેલા ને ચોથા બુધવારે પ્રકાશિત થશે.
કવિ ભગવત રાવતના રચનાસંસારમાં ડોકિયું કરાવશે આપણા ચિરપરિચિત લેખક ભગવાન થાવરાણી. ભાવોની શાહીમાં કલમ ડુબાડીને લખતા હોય છે, ભગવાન ભાઈ. “હૈં સબસે મધુર ગીત” શ્રેણી વાંચી હશે તેઓ એમની કલમ, ભાવનાઓ અને શૈલીથી પરિચિત છે – એમને વાંચીને એવો અનુભવ થાય કે જાણે શિયાળાની મદાલસા પરોઢના પાલવમાં મીઠી ઊંઘમાં હોઈએ અને જ દૂર કોઈ મંદિરમાં વાગતી શરણાઈના સૂરો કાનને અનાયાસ તૃપ્ત કરતા હોય! કવિ ભગવત રાવત વિશે શું કહેવું? એમનું ભાવજગત અદના આદમીનું નકરું, બળકટ, આગવું અને તેમ છતાં સૌનું પોતીકું ભાવજગત છે. તો આવો, ભરીએ આચમન આ ખળખળ વહેતા ભાવઝરામાંથી…
સંપાદકો
(મણકો-૧)
–ભગવાન થાવરાણી
આ અગાઉ આશરે બે વર્ષ ચાલેલી શૈલેન્દ્રના ફિલ્મી ગીતો વિષયક શ્રેણી ‘હૈં સબસે મધુર વોહ ગીત‘ ના અંતિમ બે હપ્તામાં એમની સર્વોત્કૃષ્ટ કવિતા ‘તીસરી કસમ‘ની વિગતે છણાવટ કરેલી.
એ કૃતિના નાયક હીરામન હિંદી ફિલ્મોના અને હિંદી કથા સાહિત્યના પણ શાશ્વત પાત્રોમાંના એક છે. અંતિમ હપ્તામાં એ પણ ઉલ્લેખેલું કે આ હીરામન વિષે હિંદીના મૂર્ધન્ય કવિ સ્વ. શ્રી ભગવત રાવતે એક સમગ્ર કવિતાસંગ્રહની રચના કરેલી, જેનું નામ ‘સુનો હીરામન‘ છે. કથાસાહિત્યના કોઈ એક જ કાલ્પનિક પાત્રને ઉદ્દેશીને એક આખો કાવ્ય સંગ્રહ લખાયો હોય એ ઘટના જેમ વિરલ છે તેવી જ રીતે એ પણ વિચારણીય છે કે એ હીરામને ભગવત રાવત અને શૈલેન્દ્રના (અને અલબત્ત, મૂળ વાર્તાના લેખક ફણીશ્વરનાથ રેણુના) મનમાં કેવુંક ઘર કર્યું હશે!
ભગવત રાવત ભોપાલના નિવાસી. મધ્ય પ્રદેશના બુંદેલખંડ ઇલાકામાં જન્મ. તેર કવિતા સંગ્રહો અને બે વિવેચન ગ્રંથોના લેખક. એમના કૃતિત્વ સંદર્ભે પણ કેટલાક ગ્રંથો લખાયા. ૨૦૧૨માં એ અવસાન પામ્યા એ પછી એમના રચનાસંસાર વિષે હિંદીના લગભગ દરેક સાહિત્યિક સામયિકે વિશેષાંકો બહાર પાડેલા. વર્ષો સુધી ભોપાલ અને અન્ય શહેરોમાં અધ્યાપન કાર્ય કરવા ઉપરાંત એ મધ્ય પ્રદેશ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહેલા. એમના વિષે બાકીની હકીકતો સ્વયં એમની કૃતિઓ જ બયાન કરશે.
કમનસીબે, આટલા લબ્ધપ્રતિષ્ઠ રચનાકાર હોવા છતાં ગુજરાતીના બહુ જૂજ વાચકો ભાવકોએ એમના વિષે સાંભળ્યું છે કે એમની કવિતાઓનો સંસ્પર્શ માણ્યો છે. કદાચ ગુજરાતીઓનું હિંદી વાચન એટલું સમૃદ્ધ નથી! આ લેખમાળાના આજના અને હવે પછીના થોડાક હપ્તાઓમાં આપણે આ દિવંગત અને સદાય પ્રસ્તુત અને સમકાલીન કવિની કેટલાક મને ગમતી રચનાઓનો રસાસ્વાદ માણીશું.
આ ‘રસાસ્વાદ’ શબ્દપ્રયોગથી આપણા સૌની એક પ્રચલિત માન્યતાનું સ્મરણ થઈ આવ્યું. જે લોકોએ કવિતાઓ વાંચવા-માણવાની શરૂઆત બચપણથી ભણતરના ભાગરૂપે કરી છે, એ લોકોના મનમાં પહેલેથી એ વાત ઠસાવવામાં આવી છે કે કવિતા કોઈક ગૂઢ અને અગમ્ય ચીજ જ હોય જેનું અર્થઘટન કોઈક ‘જાણકાર વિદ્વાને’ આપણને કરી આપવું પડે! બીજા શબ્દોમાં, કવિતા સમજવી કે સમજાવવી પડે, એ આપોઆપ ન સમજાય! એ પ્રથમ પઠનમાં જ સમજાઈને સોંસરવી ઊતરે એવી હલકી- ફૂલકી ચીજ હોઈ જ ન શકે! એટલે જ તો બચપણની પરીક્ષાઓના પ્રશ્નપત્રોમાં આવતો પેલો કાયમી સવાલ ‘ફલાણી કવિતામાં કવિ શું કહેવા માગે છે?’ આપણા દિલોદિમાગમાં જડાઈ ગયો છે!
ભગવત રાવતની લગભગ બધી જ કવિતાઓ આ માન્યતાનો ધરમૂળથી ઉચ્છેદ કરે છે. એમની કોઈ પણ કવિતા વાંચતી-માણતી-ઝીલતી વખતે ‘એ શું કહેવા માગે છે?’ એ વાત જ અપ્રસ્તુત બની જાય છે. સાવ સીધી, સરળ, સચોટ અને એક હૃદય દ્વારા બીજા હૃદયને ઉદ્દેશીને કહેવાયેલી વચેટિયા-વિહોણી પારદર્શક વાત!
એમની આ શ્રેણીની પ્રથમ કવિતા દ્વારા આ વાત પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરીએ:
सच पूछो तो
एक ऐसी जगह खोजता रहा जीवन भर
जहां बैठ कर बेफ़िक्री से
लिख पाता एक नाम
और कोई यह न पूछता
यह किसका नाम है
हरदम चक्कर खाते चौबीसों घंटों में से
इतना सा समय चाहिए था मुझे
जिसे आसानी से छिपाकर रख लेता
अपनी जेब में
और कोई यह न पूछता
उसे मैंने कैसे किया ख़र्च
भाषा से पटी पड़ी दुनिया में
कुछ ऐसे शब्द चाहिए थे मुझे जिन्हें
किसी अबोध लड़की के हाथों
गोबर – लिपी ज़मीन पर
चौक की तरह पूर देता
और कोई यह न पूछता
इस का है क्या अर्थ
सच पूछो तो
इतने से कामों के लिए आया था पृथ्वी पर
और भागता रहा यहां से वहां …
– भगवत रावत
ગુજરાતી ભાવાનુવાદ –
ખરું પૂછો તો
એક એવી જગ્યા શોધતો રહ્યો જિંદગીભર
જ્યાં બેસીને નિશ્ચિંતતાથી
લખી શકું એક નામ
અને કોઈ પૂછે નહીં
એ કોનું નામ છે
કાયમ ઘુમરાતા ચોવીસ કલાકમાંથી
એટલો જ સમય જોઈતો હતો મારે
જેને સહેલાઈથી સંતાડી શકું
પોતાના ગજવામાં
અને કોઈ એ ન પૂછે
એ મેં કંઈ રીતે વાપર્યો
ભાષાથી ખદબદતી દુનિયામાં
થોડાક એવા શબ્દો જોઈતા હતા મારે
જે શબ્દોને કોઇક અબુધ કન્યાના હાથે
છાણથી લીંપેલી ભોંય પર
રંગોળીની જેમ પુરાવી લઉં
અને કોઈ એ ન પૂછે
એમ કરવાનો શો મતલબ
ખરું પૂછો તો
આટલા જ કામો માટે આવ્યો’તો પૃથ્વી પર
અને અમથો ભાગતો રહ્યો
અહીંથી તહીં…
મેં વાંચેલી ભગવત રાવતની આ પ્રથમ કવિતા હતી એના પ્રથમ પઠનથી જ હું સ્તબ્ધ, અવાચક થઈ ગયેલો! ‘સચ પૂછો તો‘ નામના જ એમના કવિતાસંગ્રહમાં આ રચના સમાવિષ્ટ છે.
એક એવા અસંતુષ્ટ આત્માની વાત છે આ કવિતામાં, જેને સતત એમ લાગ્યા કરે છે કે જીવનના દીર્ઘ પ્રવાસમાં કશુંક અગત્યનું કરવાનું રહી ગયું છે. બલ્કે એમ કહો કે એણે જે અત્યાર સુધી કર્યું અથવા એની પાસે કરાવવામાં આવ્યું એ માટે તો એ આ ધરતી પર આવ્યો જ નહોતો! એને કરવું’તું કંઇક જુદું, થવું’તું કંઇક ભિન્ન અને કેવા કેવા ‘ બિનજરૂરી ‘ કામો કરાવવા એને લબડધક્કે ચડાવવામાં આવ્યો! આ ‘શું કરવું’તું – શું કરી બેઠો – શું થઇ ગયું?’વાળી પીડા અને છટપટાહટ ભગવત રાવતની કેટલીક અન્ય કવિતાઓમાં પણ, અલગ બિંબો અને દૃશ્યો થકી દ્રષ્ટિગોચર થયા કરે છે. અલબત્ત આથી સાવ વિપરીત, આવા જ પ્રથમ દૃષ્ટિએ નગણ્ય અને બાલિશ કામો દ્વારા જિંદગી પરમ સાર્થક થયાની વાત પણ એમની ઘણી કવિતાઓમાં છે.
આ ધુંધવાયેલો (પણ ઇમાનદાર) માણસ શરૂઆતમાં જ કહે છે કે મારો આશય અહીં આવીને બસ થોડાંક જ કામ કરવાનો હતો. એક કામ હતું કોઈક નાનકડી જગ્યા શોધી એના પર એના મનના ઊંડાણે ધરબાયેલું પણ મોટેથી ઉચ્ચારી ન શકાય એવું એક રૂપકડું, નાજુક નામ લખવાનું! એ નામ માટીમાં આંગળીથી અથવા કોરી જમીન પર ચૉકથી લખત કદાચ એ! મરજી મુજબનું એક નામ! અને હા, શરત એ પણ કે કોઈ પૂછે નહીં, ઉલટતપાસ કરે નહીં કે એ નામ કોનું છે, તારા શું થાય, એ જ નામ આટલા બધા નામોમાંથી કેમ? વગેરે.
એક બીજું પણ કામ હતું એને. ચોવીસીના ઘમ્મરભમ્મર ચક્કરમાંથી એને ફાજલ પાડવો હતો પોતાના માટે થોડોક જ સમય. અને એ સમય સંતાડીને એવી રીતે વાપરવો હતો કે જે કેવળ એનો માંહ્યલો જ જાણે અને સમજે, કોઇ દોઢડાહ્યા દુનિયાદાર શખ્સની પૂછપરછ વિના કે હેં અલ્યા! પેલા સમયના ટુકડાનું તેં એવું તે શું કર્યું ?
અફસોસ ! એ પણ ન થઇ શક્યું.
અને છેલ્લે, નિરર્થક અને નક્કામા, દંભી અને છલનામય શબ્દોથી ઊભરાતા આ જગતમાં એને થોડાક પોતીકા, મૌલિક શબ્દો જોઈતા હતા. આપણે એ ક્યાં નથી જાણતા કે જે ભાષા, તે શબ્દોનો આવિષ્કાર સ્વયં ને વ્યક્ત-અભિવ્યક્ત કરવા માટે અસલમાં થયો છે એનો મહત્તમ ઉપયોગ તો હવે જાતને છુપાવવા, સંતાડવા માટે થાય છે! આપણે ‘જે નથી’ એ ‘છીએ’ એવું પુરવાર કરવા જ શું શબ્દોનો ઇસ્તેમાલ નથી કરતા, વારુ ? અહીં કવિની ઋજુતાની પરાકાષ્ઠા ત્યારે છે, જ્યારે એ કહે છે કે એ મુઠ્ઠીભર શબ્દોને મારે બોલી કે લખીને વેડફવા નથી. મારે તો એ શબ્દોને કોઇક બાલિકાના હસ્તે લીંપાવી, રંગોળી હેઠળ દાટી દેવા છે, અને મહેરબાની કરીને કોઈ પૂછે નહીં, આવી મૂર્ખામી શાને! બીજા ઉપયોગી કામોનો શું તોટો હતો કે આવા ઉટપટાંગ કામો લઈ બેઠા!
આટલા અમથા (અને આવા જ થોડાક બીજા પણ) કામો કરવા હતા અને એના બદલે શુંનું શું થઇ ગયું ! નિરર્થક ચક્રવ્યૂહમાં ગોળ- ગોળ ફરતો રહ્યો જે માટે આવ્યો હતો એવું કે મરજી મુજબનું કંઈ જ ન થઈ શક્યું.
જબ તક મૈં ઝિંદગી કો ન સમજા થા, જી લિયા
જબ આ ગઈ સમજ મેં તો બેમૌત મર ગયા ..
કવિતા- નાયક કે ભગવત રાવતની જ નહીં, અનેક સંવેદનશીલ આત્માઓની આ જ પીડા છે.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
ખૂબ સરસ કવિતા અને ખૂબ સરસ સમજૂતી… આપણે આપણી ઇચ્છા પ્રમાણે થોડુંક પણ જીવવું હોય તો એકલા રહેવું જોઈએ. આ માત્ર મારો મત છે. હું મહદઅંશે મારી રીતે જીવી શક્યો છું.
સુંદર કવિતાનો સુંદર આસ્વાદ.
Bhagwaanji.. thanks for the wonderful effort…बउ सरस
જબ તક મૈં ઝિંદગી કો ન સમજા થા, જી લિયા
જબ આ ગઈ સમજ મેં તો બેમૌત મર ગયા ..
khub j hradaysparshi……………
બહુજ સરસ . અમારા જેવા કવિતાથી દુર ભાગનાર ને પણ મજા આવી !
बेहद सार्थक प्रयास, थावरानी सर ।
વાચક માટે ભગવત અને ભગવાનનું સંમિલન સુભગ છે. ફરી એક રસાળ કાવ્યદર્શનની સંભાવના આનંદદાયક અને આવકારદાયક છે. શિષ્ટ સાહિત્ય -ખાસ તો કાવ્યસાહિત્યથી વંચિત રહેતા સામાન્ય વાચકને માટે ઉપકારક પણ બને છે.
એક એવી જગ્યા શોધતો રહ્યો જિંદગીભર
આ શેર યાદ આવી ગયો…
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.