





– ચંદ્રશેખર પંડ્યા.
‘એન્વાયર્નમેન્ટ’ અથવા તો ‘એન્વિરોનમેન્ટ’ જેને આપણે ગુજરાતીમાં ‘પર્યાવરણ’ તરીકે ઓળખીએ છીએ તેની પરિભાષા વિવિધ પુસ્તકોમાં અલગ અલગ જોવા મળે છે. પરંતુ સમજણ પૂરતી ભાષામાં જોવા જઈએ તો કોઈ પણ મનુષ્ય કે પ્રાણી જ્યાં નિવાસ કરી રહેલ હોય તેની આસપાસ આવેલાં તમામ સજીવો કે નિર્જીવ ચીજવસ્તુઓ, પરિસ્થિતિઓ અને અસરોના સમૂહને પર્યાવરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આપણે બધા શહેરી પર્યાવરણમાં અથવા ગ્રામીણ પર્યાવરણમાં રહીએ છીએ એટલે કે આપણી આસપાસ વસવાટ કરતાં લોકો, સ્થાનિક વાતાવરણ, શેરી-મહોલ્લો, સડક, વાહનો, મકાનો, બાગ-બગીચાઓ, વૃક્ષો, જળસ્રોતો વગેરેનો સમાવેશ પર્યાવરણની વ્યાખ્યામાં થાય. ગ્રામીણ પર્યાવરણ કેટલીક બાબતોમાં અલગ પડે જ્યાં ખેતરો-ખળાંઓનો પણ સમાવેશ થતો હોય છે.
એક સર્વ સામાન્ય ચૂક થતી જોવા મળે છે. મોટે ભાગે આપણે વાતાવરણ શબ્દને પર્યાવરણ તરીકે સમજી લઈએ છીએ, પરંતુ વાતાવરણ શબ્દમાં બે શબ્દોનો સમાસ રહેલો છે, વાત (વાયુ) અને આવરણ (પડળ). આપણી ફરતું હવાનું જે કુદરતી આવરણ આવેલું છે તે વાતાવરણ છે. એટલે કે વાતાવરણ એ સમગ્ર પર્યાવરણ નથી, પરંતુ તેનો એક ભાગ છે. આ જ પ્રમાણે તમામ જળાશયોને ‘જલાવરણ’ અને જમીનને ‘મૃદાવરણ’ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ મળીને પર્યાવરણ બને છે. આ ઉપરાંત, એક સૌથી અગત્યનું આવરણ તમામ ‘સજીવ’ વસ્તુઓ જેવી કે માણસો, પ્રાણીઓ, પશુ-પક્ષીઓ, જીવજંતુઓ (સૂક્ષ્મ જંતુઓ સાથે) અને વિવિધ પ્રકારની વનરાજી જેવી કે, નાનાં તેમ જ મોટાં વૃક્ષો, છોડવાઓ અને ઘાસ પ્રકારની વનસ્પતિઓનું બનેલું છે જેને જીવાવરણ અથવા તો ‘જૈવિક આવરણ’ કહેવામાં આવે છે. હવે પર્યાવરણની વ્યાખ્યા સમજવાનું સહેલું બનશે. આ તમામ આવરણોનો સરવાળો એટલે પર્યાવરણ.
‘એન્વાયર્નમેન્ટ’ શબ્દ અન્ય ઘણા પરિપેક્ષ્યમાં વપરાતો શબ્દ છે. ‘બિઝનેસ એન્વાયર્નમેન્ટ’, ‘વર્ક એન્વાયર્નમેન્ટ’, ‘સોશ્યલ એન્વાયર્નમેન્ટ’, ‘ઇકોનોમિક એન્વાયર્નમેન્ટ’, ‘કલ્ચરલ એન્વાયર્નમેન્ટ’ વિગેરે. રોજબરોજના ધંધા/રોજગારને નિકટવર્તી પ્રવર્તમાન સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળોને દર્શાવવા માટે આવા શબ્દપ્રયોગો થતા રહ્યા છે. પરંતુ અહીં પર્યાવરણ શબ્દ ઉછીનો લેવામાં આવ્યો છે કારણ કે તેને અગાઉ જણાવેલ સજીવ, નિર્જીવ કે કુદરતી સંસાધનો સાથે કોઈ ખાસ સંદર્ભ હોતો નથી.
પરિસ્થિતિ વિજ્ઞાન
પૃથ્વી પર વસતા દરેક સજીવો, તેની આસપાસ રહેલા પર્યાવરણના વિવિધ ઘટકો સાથે સતત પ્રક્રિયા કરતા હોય છે. આ બધાં ઘટક જૈવિક (સજીવ) અથવા તો અજૈવિક (નિર્જીવ) રૂપમાં હોય છે તેમ જ આ પ્રક્રિયા અન્યોન્ય હોય છે અને એકબીજા ઉપર અસર કરે છે. એક-બે ઉદાહરણોથી આ વાત સમજવામાં સરળતા રહેશે.
હવામાનની અસરના પરિણામ સ્વરૂપ વૃક્ષને નવાં પાન આવે છે અથવા તો પાન ખરી જાય છે. પાન ઉપર જીવાત આવવાથી પાન પીળાં થઇ જાય છે. કોઈ જંગલમાં માંસભક્ષી પ્રાણીઓ (સિંહ, વાઘ, દીપડા વ.)ની સંખ્યામાં વધારો થાય ત્યારે તૃણભક્ષી (ઘાસ/પાન ઉપર જીવનારાં પ્રાણીઓ – હરણ, કાળિયાર, ચૌસીંગા)ની સંખ્યા ઘટી જતી હોય છે. ચોમાસાની ઋતુમાં દર બનાવીને રહેતા સજીવો જેવા કે સાપ, ઉંદર, છછૂંદર વગેરે પાણીથી બચવા બહાર નીકળતા જોવા મળે છે. આ પ્રમાણે સજીવો અને તેની નિકટ રહેલા પર્યાવરણના અન્ય ઘટકો વિવિધ પ્રક્રિયાઓ વડે એકબીજાને અસર કરે છે. આવી પ્રક્રિયાઓની પૂર્ણ જાણકારી મેળવવા માટેની વિજ્ઞાન આધારિત શાખા કે અભ્યાસ ‘ઇકોલોજી’ તરીકે ઓળખાય છે. ઇકોલોજીને સ્થાનિક ભાષામાં ‘પરિસ્થિતિ વિજ્ઞાન’ અથવા ‘પારિસ્થિતિકીય વિજ્ઞાન’ કહેવામાં આવે છે જે ખરેખર જીવ વિજ્ઞાનની જ એક શાખા છે.
‘ઇકોસિસ્ટમ’ નો વિચાર
કોઈ પણ સજીવોનો સમુદાય, તેની આસપાસ રહેલા પર્યાવરણના અજૈવિક ઘટકો જેવાં કે હવા, પાણી અને જમીનમાં રહેલાં ખનિજ તત્ત્વો સાથે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરી રહેલો હોય ત્યારે એક પ્રકારની પ્રણાલી (system) નું નિર્માણ થતું હોય છે. આ પ્રણાલીને ‘પર્યાવરણ પ્રણાલી’ અથવા તો ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. પર્યાવરણના આ જૈવિક અને અજૈવિક ઘટકો વિવિધ પોષક તત્ત્વ-ચક્રો (Nutrient cycles) અને ઊર્જા પ્રવાહ વડે જોડાયેલાં હોય છે. આવી પર્યાવરણ પ્રણાલીઓ સૂક્ષ્મથી લઈને ઘણું મોટું કદ ધરાવે છે પરંતુ, સામાન્યતઃ એક ખાસ પ્રકારના મર્યાદિત વિસ્તારમાં ફેલાયેલ જોવા મળે છે. પર્યાવરણ પ્રણાલીના અજૈવિક ઘટકોમાં ઊર્જા, હવા, પાણી, નાઇટ્રોજન અને જમીનમાં આવેલાં ખનિજ તત્વોનો સમાવેશ થાય છે.
સૂર્ય એ ઊર્જાના મુખ્ય સ્રોતની ભૂમિકા નિભાવે છે. આ ઊર્જા વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની (ખોરાક બનાવવાની) પ્રક્રિયા દ્વારા ઇકોસિસ્ટમમાં પ્રવેશ પામે છે. હવામાંના કાર્બન ડાયોક્સાઈડને વનસ્પતિ શોષે છે જેનું જમીનમાંથી મેળવેલા પાણીની મદદથી લીલાં પાંદડાઓમાં રહેલાં હરિતકણોની હાજરીમાં ખોરાકમાં રૂપાંતર કરે છે. લીલી વનસ્પતિ ખાઈને જીવતાં પ્રાણીઓ અને આવાં તૃણભક્ષી પ્રાણીઓનો શિકાર કરીને જીવતાં માંસભક્ષી પ્રાણીઓ, ઊર્જા તેમ જ ખોરાકમાં રહેલાં પોષકતત્વોને ઇકોસિસ્ટમમાં પ્રવાહિત કરવામાં મદદ કરે છે. પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેમના શરીરમાં આવેલ માંસના જથ્થા પર વિઘટનકારી જીવજંતુઓ હુમલો કરીને કાર્બન ડાયોક્સાઈડને હવામાં છોડી દે છે અને પોષકતત્વોને જમીનમાં ઉચિત સ્વરૂપે ભેળવી દે છે જેથી, વનસ્પતિ ફરીને તેનો ઉપયોગ પોતાની વૃદ્ધિ માટે કરી શકે.
ઇકોસિસ્ટમના પ્રકાર
૧. જળ સંબંધિત.
– મેરીન (સમુદ્ર)
– ફ્રૅશ વોટર (તળાવ/નદી/જળાશયો)
૨. જમીન સંબંધિત.
– જંગલો
– સમુદ્ર/તળાવના કિનારા
– નદી કિનારાના પ્રદેશ
– રણ પ્રદેશ
– જમીનની નીચે આવેલ સુક્ષ્મ જીવાણુ ધરાવતો વિસ્તાર
– ઘાસિયા મેદાનો વગેરે
આ તમામ પ્રકારની જુદી જુદી ઇકોસિસ્ટમ એટલે કે પર્યાવરણ પ્રણાલીઓ લાઈફ-સપોર્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર રહેતા અસંખ્ય સજીવોનું અસ્તિત્વ જે તે ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય પર સંપૂર્ણપણે આધારિત છે. અગર પ્રણાલી તંદુરસ્ત હશે અને ખલેલરહિત હશે તો સમગ્ર માનવજાત અને અન્ય સજીવોનું અસ્તિત્વ જળવાઈ રહેશે.
ઇકોસિસ્ટમ સર્વિસીસ: પર્યાવરણ પ્રણાલીઓ આપણને કેવા પ્રકારની સેવાઓ આપે છે તે જોઈએ.
૧. પીવા માટે શુદ્ધ પાણી ૨. વિઘટન દ્વારા કચરાનો નિકાલ ૩. ખાવા માટે ખોરાક ૪. જળ/વાયુ/રોગો પર નિયંત્રણ ૫. પોષક તત્ત્વ-ચક્ર અને પરાગનયન ૬. આધ્યાત્મિક અને પ્રવાસન ૭. પ્રાણવાયુનો અવિરત પુરવઠો અને અંગારવાયુ જેવા હાનિકારક વાયુનું શોષણ વિગેરે.
આટલી પ્રાથમિક અને પાયાની સમજણ મેળવ્યા બાદ કોઈ પણના મનમાં ભાગ્યે જ સંદેહ રહેવો જોઈએ કે પર્યાવરણની જાળવણી કરવાનું કેટલું મહત્વપૂર્ણ છે. પૃથ્વી પર વસી રહેલા પ્રત્યેક સજીવો એકબીજા સાથે અતિ સુક્ષ્મ તાણાવાણાથી જોડાયેલા છે. એક સજીવનું વિલોપન આ સમગ્ર જાળને વેરવિખેર કરવા માટે સક્ષમ છે. હા, તેની અસર તરત ન પણ વરતાય પરંતુ કાળાંતરે તેની માઠી અસરોથી મુક્તિ મળવી અસંભવ જ હોય છે. કોઈ પણ સજીવનું મૂલ્ય ઓછું આંકવાની ભૂલ કરીને તેને નષ્ટપ્રાયઃ કરવાની માનવીય વૃત્તિ ઘણી જ જોખમી સાબિત થતી હોય છે. સર્જનહારે સૃષ્ટિના સર્જન સાથે અખૂટ પ્રાકૃતિક સ્રોતોનું નિર્માણ કર્યું જેથી માનવી અને બીજાં અસંખ્ય સજીવો નિર્વિઘ્ને પોતાનો જીવનકાળ પૂરો કરી શકે. વિવિધ પર્યાવરણ પ્રણાલીઓની તંદુરસ્તી જ માનવીના જીવનમાં સુખાકારી લાવી શકે. પાણી અને શુદ્ધ હવા આપણને સાવ નિ:શુલ્ક પ્રાપ્ત છે અને તેથી જ તેનો ઉપયોગ બેફામપણે કરવામાં આવી રહ્યો છે તેવું નથી લાગતું? પર્યાવરણની જાળવણી માટે એક સામાન્ય નાગરિક શું શું કરી શકે તે વાત હવે પછી કરશું.
(ફોટોગ્રાફ્સ. સૌજન્ય: ઈન્ટરનેટ)
ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧૯૮૨૫૦ ૩૦૬૯૮
Simply Superb explanation.
V nice narration in a lucid manner.
A very complicated subject like environment becomes very easy to understand…
Looking forward to get knowkedge enrichment.
લેખ તો સ્વાભાવિક રીતે જ વિષય થકી જ રોચક છે જ઼, ઉપરાંત રસાળ શૈલી અને પારિભાષિક શબ્દોના યથાયોગ્ય ઉપયોગ વડે વધારે માણવા યોગ્ય બન્યો છે. શરૂઆતથી જ પકડ જમાવી છે.
લેખ તો સ્વાભાવિક રીતે જ વિષય થકી રોચક છે જ, ઉપરાંત રસાળ શૈલી અને પારિભાષિક શબ્દોના યથાયોગ્ય ઉપયોગ વડે વધારે માણવા યોગ્ય બન્યો છે. શરૂઆતથી જ પકડ જમાવી છે.
વિષય થકી જ રોચક એવો આ લેખ રસાળ શૈલી, પારિભાષિક શબ્દોના યથાસ્થાને ઉપયોગ અને આકૃત્તિઓ વડે એકદમ માણવા લાયક બન્યો છે. આગળના હપ્તાની રાહ રહેશે.
સાવ સરળ ભાષામાં ઘણી ઉપયોગી વિગતો રજૂ કરી છે..આવા વિશદ વિષયને ઘણી મહેનતથી રસપૂર્ણ અને તરત સમજી શકાય તેવી રીતે પ્રસ્તુત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
સાંપ્રત કાળમાં ખુબ મહત્વ ધરાવતી પર્યાવરણલક્ષી બાબતોની સરળ ભાષામાં સમજુતી ,
ચંદ્રશેખરે આપી છે. એ વિષયનો ઝાઝો અભ્યાસ ન હોય તેવાને પણ આ મહિતી જાણવાની જરૂરત છે.આ હેતુ આ લેખ પુરો પાડે છે. આ અને હવે પછીના લેખોમાં વધુ ઉપલબ્ધ થશે એવું આ લેખ વાંચ્યા પછી લાગે છે. ભૂતકાળમાં મનુષ્યો એ કુદરત સાથે કરેલ ચેડા નો બદલો હવે કુદરત લઇ રહી છે (ગ્લોબલ વોર્મિંગ, સુનામી ઇત્યાદિ) .પર્યાવરણ ને ભોગે વિકાસ ક્યારેક અજાણતા તે વિશેની માહિતીના અભાવે થાય છે કારણ તેના પરિણામો તાત્કાલિક નથી હોતા.પણ લાંબે ગાળે તે જરૂર દેખા દે છે.. આવા લેખોથી સામાન્ય લોકો પણ પર્યાવરણથી અવગત થશે. webgurjari આ સમાજોપયોગી લેખમાળા ચાલુ રાખે તેવી વિનંતી.
ખૂબ જ સરસ રજૂઆત. ફોટોગ્રાફસનો સરસ ઉપયોગ.રસપ્રદ માહિતીઓ…